Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

વિટામીન-ડી ઓછું હોય તો કોવિડથી મૃત્યુનું જોખમ ૨૦% વધુ

રોગની ગંભીરતા અને મૃત્યુદર પર સીધી અસર થતી હોવાનું તારણ

જેરુસલેમ,તા.૨૮: વિટામીન-ડીનું ઓછું પ્રમાણ ધરાવતા લોકોમાં કોવિડ-૧૯થી થતા મૃત્યુનું જોખમ ઓછામાં ઓછું ૨૦ ટકા વધુ હોવાની શકયતા છે. ઇઝરાયેલની બાર-ઇલાન યુનિવર્સિટીના એઝરિએલી ફેકલ્ટી ઓફ મેડિસિનના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ના સંક્રમણ પહેલાં વ્યકિતમાં વિટામીન-ડીનું પ્રમાણ ઓછું હોય તો રોગની ગંભીરતા અને મૃત્યુદર પર તેની સીધી અસર થાય છે.

મેડિકલ શેરિંગ સાઇટ MedRxiv પર આ તારણ પ્રકાશિત કરાયા હતા. જેરુસલેમ પોસ્ટના જણાવ્યા અનુસાર અભ્યાસની વિગત મુજબ કોવિડના સંક્રમણ પહેલાં વિટામીન-ડીનું ૨૦ ng/mL ધરાવતા ૨૬ ટકા લોકોનું મૃત્યુ થયું હતું. જયારે વિટામીન-ડીનું ઊંચું પ્રમાણ ધરાવતા માત્ર ત્રણ ટકા લોકોનું મોત થયું હતું એવી માહિતી અભ્યાસ સાથે સંકળાયેલા એન્ડોક્રાઇનોલોજી અને ડાયાબિટિસના ડિરેકટર આમીર બેશ્કિને આપી હતી. જોકે, વિટામીન-ડી જ મૃત્યુનું કારણ હોવાનો ચોક્કસ પુરાવો અભ્યાસમાં મળી શકયો ન હતો, પણ બેશ્કિને જણાવ્યું હતું કે, ' વિટામીન-ડીનું ઓછું પ્રમાણ ધરાવતા લોકોમાં મૃત્યુદર ઊંચો રહ્યો છે. ઉપરાંત, વિટામીન-ડીનું પ્રમાણ ઓછું હોય એવા લોકોમાં રોગની ગંભીરતા પણ વધુ જોવા મળી હતી.'

અહેવાલમાં જણાવ્યા અનુસાર 'ટીમે રોગની ગંભીરતાના કારણો માટે વ્યકિતની અન્ય તમામ બીમારીનો અભ્યાસ કર્યા પછી જણાયું હતું કે, વિટામીન-ડી ગંભીરતા માટેનું સ્વતંત્ર કારણ હતું.' ચાલુ મહિને કેનેડાની કયુબેક ખાતેની મેકગિલ યુનિવર્સિટીએ એવું તારણ જારી કર્યું હતું કે, વિટામીન-ડીના સ્તર અને કોવિડ-૧૯ના જોખમ, ગંભીરતા કે હોસ્પિટલાઇઝેશન વચ્ચે સહસંબંધનો કોઈ પુરાવો મળ્યો નથી. કારણ કે અગાઉના અભ્યાસોમાં બીમાર વ્યકિતમાં સપ્તાહે એક વખત વિટામીન-ડીનું સ્તર ચકાસવામાં આવ્યું હતું. તેને લીધે અભ્યાસનું પરિણામ ચોક્કસ ન આવી શકે એવું રિસર્ચર્સે જણાવ્યું હતું.

અભ્યાસના લીડ ઓથર એમીલ ડ્રોરે જણાવ્યું હતું કે, 'લોકો અને ખાસ કરીને વૃદ્ઘો વિટામીન-ડી લેવાનું ચાલુ રાખે એ જરૂરી છે.' નિષ્ણાતો રોજ ૧૨૦૦ એમજી વિટામીન-ડી ડોઝની ભલામણ કરે છે, પણ વ્યકિતએ કોઇ પણ સપ્લિમેન્ટ લેતાં પહેલાં ડોકટરની સલાહ લેવી જોઇએ. ડ્રોરે જણાવ્યું હતું કે, 'વ્યકિતને આગામી સમયમાં કોવિડ-૧૯નું સંક્રમણ થાય તો તેના શરીરમાં વિટામીન-ડીનું પૂરતું પ્રમાણ હોય તેનું તેણે અત્યારથી જ ધ્યાન રાખવું જોઇએ.'

ઉલ્લેખનીય છે કે, કોવિડ-૧૯ની બીજી લહેરમાં ઘણા લોકો ગંભીર બીમારીમાં સપડાયા હતા. ઘણા લોકોને ડોકટર્સે વિટામીન-ડી આપવું પડ્યું હતું. એટલે તાજેતરનો અભ્યાસ સૂચવે છે કે, વ્યકિતએ સાવચેતીના ભાગરૂપે વિટામીન-ડીની ઊણપ ન થાય તેનું ધ્યાન રાખવું જોઇએ.

(10:10 am IST)