Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

લોકડાઉન ૫.૦માં કઇ કઇ છુટછાટ મળશે

દુકાનોને સાંજે ૬ સુધીની મંજુરી મળશેઃ કફર્યુ રાત્રે ૯ થી સવારે ૬ સુધીનો રહે તેવી શકયતા

ધાર્મિક સ્થળોને પણ શરતો સાથે છુટછાટ મળશેઃ કેન્દ્ર મંજુરી આપે તો ગુજરાત સરકાર છુટછાટો આપવા તૈયાર

નવી દિલ્હી, તા.૨૮: ૧ જૂનથી શરુ થનારું લોકડાઉન કેવું હશે તેની ચર્ચા અને અટકળો અત્યારથી જ શરુ થઈ ગઈ છે. ગુજરાત સરકાર પણ લોકડાઉન ૫.૦માં કેવી અને કેટલી છૂટછાટો આપવી તેનો નિર્ણય કેન્દ્ર સરકાર ગાઈડલાઈન્સ બહાર પાડે ત્યારબાદ લેશે. ઉલ્લેખનીય છે કે, રાજયમાં લોકડાઉન ૪.૦માં જ તમામ પ્રકારની આર્થિક ગતિવિધિઓ માટે મોટાપાયે છૂટછાટો જાહેર કરાઈ હતી.

સૂત્રોનું માનીએ તો, જે રીતે કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે તેને જોતા લોકડાઉન ૫.૦ આવવાનું લગભગ નક્કી જ છે. જોકે, આર્થિક ગતિવિધિઓને ફરી ધમધમતી કરવા અને લોકોની નાણાંકીય સંકડામણ દ્યટે તે માટે તેમાં વધુ છૂટછાટો મળે તેવી શકયતા છે. સીએમે આ અંગે મંત્રીઓ અને વિભિન્ન સમાજના આગેવાનો પાસેથી ફીડબેક પણ મેળવ્યો છે. જેના આધારે લોકડાઉન બે-ત્રણ સપ્તાહ માટે લંબાવાઈ શકે છે.

લોકડાઉન ૫.૦માં સરકાર દુકાનોને સાંજે છ વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપી શકે છે. હાલ સવારે આઠથી સાંજે ચાર વાગ્યા સુધી જ તેની પરવાનગી છે. આ ઉપરાંત, હાલ સાંજના સાતથી સવારના સાત સુધી રખાતા કરફ્યુનો સમયગાળો પણ ઘટાડીને રાત્રે નવથી સવારે છ વાગ્યા સુધીનો કરી શકાય છે. રેડ ઝોન્સમાં પણ થોડી ઢીલ મળી શકે છે. આ ઉપરાંત, ધાર્મિક સ્થળોને પણ શરતી છૂટછાટો મળી શકે છે.

ગુજરાતમાં લોકડાઉનમાં છૂટ અપાઈ છે તે દરમિયાન પણ કોરોનાના કેસ સતત વધી રહહ્યા છે. બુધવાર સુધીમાં રાજયમાં ૩૭૬ નવા કેસ સાથે કુલ દર્દીઓનો આંકડો ૧૫,૨૦૩ થઈ ગયો છે. મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી બાદ ૧૫ હજારના આંકડાને વટાવનારું ગુજરાત ચોથું રાજય બન્યું છે. રાજયમાં કોરોનાને લીધે અત્યારસુધી ૯૩૮ લોકોએ જીવ પણ ગુમાવ્યો છે.

(10:31 am IST)