Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

નિકાસકારોને ખોટી રીતે કરમુક્તિ લેવા બદલ નોટિસ આપવાનું શરૂ

કોલકાતા અને ગુજરાતથી માલસામાન આયાત કરતા નિકાસકારો ઝપટે :100 ટકા પેનલ્ટી અને વ્યાજ ચૂકવવું પડશે

મુંબઈ:હવે ખોટી રીતે કરમુક્તિ લેવા બદલ તપાસ શરૂ કરાઈ છે એન્ટિ-સ્મગલિંગ ઇન્ટેલિજન્સ એજન્સી ડાયરેક્ટરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ નિકાસકારોને ખોટી રીતે કરમુક્તિ લેવા બદલ કારણદર્શક નોટિસ આપવાનું શરૂ કર્યું છે. સામાનની આંશિક કે સંપૂર્ણ નિકાસ પછી તેના કાચા માલની નિકાસ કરવામાં આવી હોય એવા કિસ્સામાં નિકાસકારોને નોટિસમાં IGST ચૂકવવાનું જણાવાયું છે.

   સૂત્રોના જણાવ્યા અનુસાર નોટિસને પગલે નિકાસકારોને 100 ટકા પેનલ્ટી અને વ્યાજ ચૂકવવું પડે તેવી શક્યતા છે. DRIએ કોલકાતા અને ગુજરાતથી માલસામાનની આયાત કરતા લગભગ 100 નિકાસકારોને નોટિસ ફટકારી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આગામી કેટલાંક સપ્તાહમાં DRI વધુ નોટિસ ફટકારે તેવી શક્યતા છે. DRIની નોટિસમાં જણાવ્યા અનુસાર આયાત પહેલાં નિકાસ કરવામાં આવી હોય એવા કિસ્સામાં કરમુક્તિ લેવી કાયદાકીય અને યોગ્ય નથી. એટલે અમે ખોટી રીતે કરમુક્તિ લેવા બદલ તપાસ શરૂ કરી છે.

   ટેક્સ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર દિલ્હી હાઈ કોર્ટના આદેશમાં નિકાસકારોને નિકાસ કરાયેલા સામાનમાં વપરાયેલા કાચા માલની આયાત કરવાની મંજૂરી મળ્યા પછી પણ DRI દ્વારા નોટિસ આપવામાં આવી છે. જોકે, ઉદ્યોગવર્તુળોના જણાવ્યા અનુસાર હાઈ કોર્ટના આદેશ પછી સરકારે કેટલાંક નોટિફિકેશન જારી કર્યાં હતાં. જેમાં સરકારે આવી રાહત માટે કેટલીક શરતો મૂકી છે.

ખૈતાન એન્ડ કંપનીના પાર્ટનર અભિષેક એ રસ્તોગીએ જણાવ્યું હતું કે, બિઝનેસના પ્રકાર અને સપ્લાય ચેઇનની કામગીરીને કારણે નિકાસકારોએ પહેલાં સામાનની નિકાસ કર્યા પછી કાચા માલની આયાત કરવાની હોય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરકારના એમેન્ડમેન્ટને કારણે દિલ્હી હાઈ કોર્ટના ચુકાદા છતાં નિકાસકારોને અપેક્ષિત લાભ નહીં મળે. અમે રિટ પિટિશનમાં આયાત પહેલાંની સ્થિતિને પડકારી છે.

    નિકાસકારોના જણાવ્યા અનુસાર નોટિસને પગલે તેમની ભાવિ આયાત પર પણ અસર થશે. કારણ કે તેમણે માલસામાનની આયાત સાથે IGST ચૂકવવો પડશે. મોટા ભાગની આયાતી પ્રોડક્ટ્સ પર IGSTનો દર 18 ટકા, કેટલીક પ્રોડક્ટ્સ પર 12 ટકા અને ગણતરીની પ્રોડક્ટ્સ પર પાંચ ટકા છે. ઉદ્યોગવર્તુળોના જણાવ્યા અનુસાર અગાઉની ટેક્સ સિસ્ટમ અને ફોરેન ટ્રેડ પોલિસી (FTP)માં આયાત કરાયેલો કાચો માલ નિકાસ માટે વપરાય તો આયાત પર કોઈ ડ્યૂટી લાગતી ન હતી, ભલે ને પછી માલસામાનની નિકાસ આયાત પહેલાં કરવામાં આવી હોય.

ETએ નરેન્દ્ર પ્લાસ્ટિક વિ UOI કેસમાં દિલ્હી હાઈ કોર્ટના નિર્ણયને પ્રકાશિત કર્યો હતો. જેમાં કોર્ટે આયાતકારોને વચગાળાની રાહત આપી હતી. તેને લીધે ડ્યૂટી-ફ્રી આયાતના લાભના એમેન્ડમેન્ટનો લાભ અન્ય આયાતકારોને પણ મળ્યો હતો. ટેક્સ નિષ્ણાતોના દાવા પ્રમાણે સરકારના નોટિફિકેશને દિલ્હી હાઈ કોર્ટના ચુકાદાને મહદ્ અંશે નિરર્થક બનાવી દીધો છે. નિકાસકારોને આયાત પર IGST ચૂકવ્યા પછી જ સામાનની નિકાસ કરવા જણાવાયું છે.

(4:05 pm IST)