Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

તેલુગુદેશમ્‌ સુપ્રીમો ચંદ્રાબાબુ નાયડુ મોદી વિરોધી ટીમનો રાષ્‍ટ્રીય ચહેરો બન્‍યા

નરેન્‍દ્રભાઇ માત્ર ‘વાતોડિયા' છે : વચન નિભાવતા નથીઃ કેમ્‍પેઇન પીએમઃ માત્ર સૂત્રો આપી શકે છે

હૈદ્રાબાદ, તા. ર૮ : તેલુગુદેશમ સુપ્રિમો અને આંધ્રપ્રદેશના મુખ્‍ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુ દેશમાં મોદી વિરોધી ટીમનો રાષ્‍ટ્રીય ચહેરો સાબિત થશે. મોદીને કેમ્‍પેઇન પી.એમ. કહીને સકંજો કસતા નાયડુએ કહ્યું કે તેઓ વાયદા નિભાવવામાં નિષ્‍ફળ સાબિત થયા છે. તેમણે આરોપ લગાવતા કહ્યું કે ભાજપ એક વાર નહીં પણ ઘણીવાર વાયદા નિભાવવામાં અને મિત્રધર્મ નિભાવવામાં નિષ્‍ફળ ગયેલ છે.

રવિવારે વિજયવાડામાં ટીડીપીના વાર્ષિક મહાનાડુ સંમેલનનું ઉદ્‌ઘાટન કરતા ચંદ્રાબાબુએ કહ્યું કે, કેન્‍દ્રમાં સરકાર બનાવવામાં તેમના પક્ષની મહત્‍વની ભૂમિકા રહી છે અને ૧૯૯૬માં યુનાઇટેડ ફ્રંટની સરકાર બનાવવામાં ટીડીપી અને એન.ટીઆરે મળીને દેવેગાંડાને વડાપ્રધાન બનાવેલ. તેમણે કહ્યું કે ટીડીપીમાં દેશના રાજકારણને બદલવાની તાકાત છે. તેમણે એવો સંકેત પણ આપ્‍યો કે ર૦૧૯માં ભાજપાને સતતાથી રોકવા સમાન વિચારવાળા પક્ષો સાથે સમજૂતિ થઇ શકે છે. કંઇ મળવાનું નથી પણ ભાજપા ર૦૧૯માં સત્તા પર આવવાની ઇચ્‍છા સપનું સાબિત થશે. મોદી ઉપર નિશાન તાકતા તેમણે કહ્યું કે મોદી માત્ર કેમ્‍પેઇન પી.એમ. છે જે માત્ર નારા આપ્‍યા રાખે છે પણ વાયદા નિભાવવામાં નિષ્‍ફળ છે. તેમણે કહ્યું કે વાજપેયીના નેતૃત્‍વમાં તેમણે એનડીએને ટેકો આપ્‍યો અને રાજયમાં ઘણું કામ કર્યું પણ મોદીજી ફકત વાતો જ કરે છે. કામ ઓછું કરે છે, તેમના કહેવા મુજબ મેક ઇન ઇન્‍ડીયા, સ્‍ટાર્ટ આપ ઇન્‍ડીયા અને સ્‍ટેંડ અપ ઇન્‍ડીયા સહિતની સરકારની યોજના નિષ્‍ફળ સાબિત થઇ છે.

(10:56 am IST)