Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧૦૦૦ બેડ ક્ષમતા-ઓક્સિજન સપ્લાય વ્યવસ્થા સાથેની કોવિડ હોસ્પિટલ ઊભી કરશે:મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન શ્રી મુકેશ અંબાણીને જામનગરમાં કોવિડ કેર હોસ્પિટલ શરૂ કરવા કરેલા અનુરોધનો ત્વરિત પ્રતિસાદ

હોસ્પિટલ માટે જરૂરી સાધન સામગ્રી-ઇક્વિપમેન્ટસ-આનુષાંગિક વ્યવસ્થા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કરશે - માનવબળ પુરૂં પાડવામાં રાજ્ય સરકાર સહયોગ આપશે :જામનગર - દેવભૂમિ દ્વારકા - પોરબંદર સહિતના સૌરાષ્ટ્રના જિલ્લાના લોકો માટે કોરોના સંક્રમણ સારવારની મોટી સુવિધા મળશે : ૪૦૦ બેડની ક્ષમતા સાથેની હોસ્પિટલ આગામી રવિવાર સુધીમાં કાર્યરત કરી દેવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેને મુખ્યમંત્રીશ્રી સમક્ષ તત્પરતા દર્શાવી : ૪૦૦ બેડ ની ક્ષમતા ની હોસ્પિટલ શરુ થયા બાદ વધુ ૬૦૦ બેડ સાથેની સંપૂર્ણ ૧૦૦૦ બેડની ક્ષમતા ધરાવતી હોસ્પિટલ બનતી ત્વરાએ ઇન્ફ્રાસ્ટ્રકચર ઊભું કરીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એકાદ સપ્તાહમાં શરૂ કરવા પૂર્ણ પ્રયાસરત રહેશે

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન શ્રી મુકેશ અંબાણી સાથે વાતચીત કરીને જામનગરમાં ૧૦૦૦ બેડની ક્ષમતા સાથે ઓક્સિજન વ્યવસ્થા ધરાવતી કોવિડ હોસ્પિટલ શરૂ કરવા અનુરોધ કર્યો હતો.  મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીના અનુરોધનો ત્વરિત પ્રતિસાદ આપતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન શ્રી મુકેશ અંબાણીએ ગુજરાતમાં કોરોના સંક્રમણની મહામારીની વિપદામાં જનતા જનાર્દનની સેવામાં સરકાર સાથે રિલાયન્સ પરિવાર પણ પડખે ઊભો છે તેની ખાતરી આપી હતીી.   તેમણે મુખ્યમંત્રીશ્રીની અપિલ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સામાજિક ઉત્તરદાયિત્વ રૂપે જામનગરમાં ૧૦૦૦ બેડની ક્ષમતા સાથેની ઓક્સિજન સુવિધાઓ સહિતની હોસ્પિટલ બનાવવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધિકારીઓને સૂચનાઓ પણ આપી છેે.  શ્રી મુકેશ અંબાણીએ મુખ્યમંત્રીશ્રીને એમ પણ જણાવ્યું કે, આગામી રવિવાર સુધીમાં  ૪૦૦ બેડની હોસ્પિટલ તો ઓક્સિજન સુવિધાઓ સાથે જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા શરૂ કરી દેવાશેે.  

ત્યારબાદ વધુ ૬૦૦ બેડની ક્ષમતા સાથેની હોસ્પિટલ શરૂ કરવાનું ઇન્ફ્રાસ્ટ્રકચર સહિતનું નિર્માણ કાર્ય બનતી ત્વરાએ હાથ ધરીને ૧૦૦૦ બેડની સંપૂર્ણ ક્ષમતા સાથેની હોસ્પિટલ એકાદ સપ્તાહમાં શરૂ કરવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સંપૂર્ણતઃ પ્રયાસરત રહેશે.   

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેનને જણાવ્યું કે આ હોસ્પિટલ માટે જરૂરી માનવબળ પુરૂં પાડવામાં રાજ્ય સરકાર રિલાયન્સને મદદરૂપ બનશે.   અન્ય સાધન-સામગ્રી, ઇક્વિપમેન્ટસ અને આનુષાંગિક સુવિધાઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આ હોસ્પિટલ માટે ઊભી કરશે.   જામનગરમાં નિર્માણ થનારી રિલાયન્સની હોસ્પિટલ માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની સૂચના અને માર્ગદર્શનમાં મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસના નેતૃત્વમાં જિલ્લા કલેકટર,  તેમજ જિલ્લા વહિવટીતંત્ર સંકલનની જવાબદારી સંભાળી રહ્યા છેે.  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આગામી રવિવાર સુધીમાં ૪૦૦ બેડની તેમજ ત્યાર બાદ બનતી ત્વરાએ એકાદ સપ્તાહમાં વધુ ૬૦૦ બેડ સાથે એમ કુલ ૧૦૦૦ બેડની સંપૂર્ણ ક્ષમતાની ઓક્સિજન સુવિધા સહિતની આ હોસ્પિટલ કાર્યરત થવાથી જામનગર તેમજ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર વગેરે જિલ્લાઓના નાગરિકો-લોકો માટે કોરોના સંક્રમણ સારવારની મોટી સુવિધા ઘર આંગણે મળતી થશે

(4:43 pm IST)