Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

ભારતને મનોરંજનની નહીં ઓક્સિજનની જરૂર : પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર

પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરની ભારતને સલાહ : IPLના આયોજન ઉપર જે ખર્ચ થાય છે એટલો ઓક્સિજન સિલિ. ખરીદવા પાછળ થાય તો લોકોના જીવ બચાવી શકાય

ઇસ્લામાબાદ, તા. ૨૭ : કોરોનાના વધતા જતા સંક્રમણ વચ્ચે આઈપીએલના આયોજન પર પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે સવાલ ઉઠાવ્યા છે. શોએબે કહ્યુ હતુ કે, ભારત અત્યારે સળગી રહ્યુ છે.આવામાં આઈપીએલ ચાલુ રાખવાની જગ્યાએ તેને હાલ પૂરતી સ્થગિત કરી દેવાની જરુર છે.આ સ્થિતિમાં આઈપીએલ એટલી જરુરી નથી.તેના આયોજન પર જે ખર્ચ થઈ રહ્યો છે તેનો ઉપયોગ ઓક્સિજન સિલિન્ડર ખરીદવા માટે કરવામાં આવે તો સંખ્યાબંધ લોકોનો જીવ બચાવી શકાય તેમ છે.કોરોનાના આ સમયમાં ક્રિકેટ, મનોરંજન કે કોઈ હીરોની જરુર નથી.અત્યારે ભારત અને પાકિસ્તાનમાં લોકોનો જીવ બચાવવા પર ભાર મુકવાનો છે.પાકિસ્તાને પણ જુનમાં રમનારી પાકિસ્તાન સુપર લીગનુ આયોજન ટાળી દેવુ જોઈએ.

અખ્તરે કહ્યુ હતુ કે, પાકિસ્તાનમાં પણ હોસ્પિટલોમાં દસ ટકા ઓક્સિજન બચ્યો છે.લોકો ગાઈડ લાઈનનુ પાલન કરી રહ્યા નથી.પાકિસ્તાન સરકારને અપીલ છે કે, આગામી પંદર દિવસ સુધી કરફ્ય નાંખી દે, લોકોને ઈદની ખરીદી માટે બહાર નીકળવુ જોઈએ નહીં.

ઉલ્લેખનીય છે કે, શોએબ પહેલા ઓસ્ટ્રેલિયન ખેલાડી અને રાજસ્થાન રોયલ્સ ટીમના સભ્ય એન્ડ્રૂ ટાઈએ પણ આઈપીએલના આયોજન પર સવાલ ઉઠાવ્યો હતો.ટાઈ કોરોના સંક્રમણના કારણે ટુર્નામેન્ટ અધવચ્ચે છોડી ચુક્યો છે.

(12:00 am IST)