Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

આવતીકાલથી ગુજરાતના ૬૦ લાખ વરિષ્ઠ નાગરિકોને રાજ્યભરમાં વેક્સીન આપવાનું શરૂ થશે: રાજકોટમાં વિજયભાઈની અપીલને માન આપી ૨૦૦ અગ્રણી વરિષ્ઠ નાગરિકો વેક્સિન મુકાવશે: અંજલીબેન રૂપાણી પણ કાલે રસી મુકાવી રહ્યા છે

રાજકોટ: રાજ્યમાં વરિષ્ઠ નાગરિકો (૬૦ વર્ષથી ઉપરની વયના વડીલોને)ને આવતી કાલ ૧ માર્ચથી કોરોના વેકસીનઆપવાનો પ્રારંભ  થઇ રહ્યો છે ત્યારે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની વિનંતીને માન આપીને રાજકોટના અગ્રણી ૨૦૦ વરિષ્ઠ નાગરિકો આવતીકાલે સવારથી રાજકોટ સિવિલ ઉપરાંત ખાનગી ૨૦ મેડિકલ ફેસિલિટી ઉપર કોરોના વેકસીન મુકાવશે તેમ જાણવા મળે છે. શ્રીમતી અંજલિબેન રૂપાણી પણ કાલે સિનિયર સિટીઝનો સાથે જ વેકસીન મુકાવશે તેમ વિજયભાઈએ કહ્યું છે.

ગુજરાતના  ૬૦ લાખ જેટલા વરિષ્ઠ વડીલ નાગરિકોને આ રસીકરણ અભિયાનનો લાભ લઈને કોરોના સામેની આપણી લડાઈના આ નિર્ણાયક અંતિમ તબક્કામાં પોતાનું યોગદાન અવશ્ય આપવા વિજયભાઈએ અપીલ કરી છે.

મુખ્યમંત્રીશ્રીએ આ અપિલ કરતા સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્ય સરકારે સૌના આરોગ્યની ચિંતા કરીને કોરોના સામે શરુઆતથી જ લોકસહયોગ અને આરોગ્ય કર્મીઓની કર્તવ્યનિષ્ઠાથી કોરોનાનો વ્યાપ વધતો અટકાવવામાં સફળતા મેળવી છે.

હવે જ્યારે કોરોના સામે રસીકરણ અભિયાન પણ દેશભરમાં શરુ થયું છે ત્યારે ગુજરાતના સૌ વરિષ્ઠ નાગરિકોના સહકારથી આપણું રાજ્ય એમાં પણ અગ્રેસર રહેશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો છે.

શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું છે કે રાજ્ય સરકારે આ રસીકરણ અભિયાનની સંપૂર્ણ તૈયારીઓ પૂરી કરી લીધી છે. રાજ્યભરની ૨૧૯૫ જેટલી સરકારી હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્રો તેમજ ૫૩૬ જેટલા ખાનગી હોસ્પિટલ, દવાખાનાઓ મારફતે કોરોના રસીના ડોઝ આપવામાં આવશે.

આ હેતુસર તાલીમબદ્ધ  ડોક્ટર્સ તેમજ પેરા મેડિકલ સ્ટાફ સહિત અંદાજે ૩૦ હજાર જેટલા લોકોની  સેવાઓ ઉપલબ્ધ બનશે.

વિજયભાઈએ એમ પણ જણાવ્યું છે કે આ રસી પૂરી રીતે સુરક્ષિત છે તેમજ તેની કોઈ આડ અસર પણ નથી જ.

મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ ૬૦ વર્ષથી વધુની વયના પ્રત્યેરક વડીલ આ રસીના બે ડોઝ અવશ્ય સમયસર લે અને પોતાની જાતને કોરોનાથી સુરક્ષિત બનાવે તેવો અનુરોધ પણ કર્યો છે.

*તેમણે જણાવ્યું છે કે ગુજરાત કોરોના સામેના જંગમાં સઘન આરોગ્ય સારવાર સુવિધાઓ ધન્વન્તરિ રથ, ૧૦૪ હેલ્પ લાઇન, વ્યાપક સરવેલન્સ સહિતના અનેક પરિણામકારી પગલાંઓ અને ઉપાયોથી દેશનું માર્ગદર્શક બન્યું છે.

વિજયભાઈએ આ સંદર્ભમાં ઉમેર્યું કે હવે સૌ વરિષ્ઠ વડીલો અવશ્યપણે  રસીના ડોઝ લઈને "હારશે કોરોના જીતશે ગુજરાત"ના મંત્રને સાકાર કરી કોરોના સામેની લડાઈના આ અંતિમ તબક્કામાં વિજય મેળવે.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના નાગરિકોને પણ હૃદયસ્પર્શી અપિલ કરી છે કે પોતાના ઘર, પરિવાર અને આસપાસના આવા વરિષ્ઠ વડીલોને રસીકરણ માટે તેઓ પ્રેરિત કરે અને કોરોનામુક્ત ગુજરાત માટે પોતાનું યોગદાન અચૂક આપે.

(12:17 am IST)