Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

તંગદિલીની વચ્ચે પાક ડેપ્યુટી હાઈ કમિશનરને બોલાવાયા

પાયલોટના સેફ રિટર્ન માટેની માંગ કરાઈ : પાકિસ્તાનના ડેપ્યુટી હાઈકમિશનર સૈયદ હૈદર શાહને સાઉથ બ્લોકમાં બોલાવી પાકિસ્તાની વર્તનની વાત કરાઈ

નવી દિલ્હી, તા. ૨૭ : પાકિસ્તાન તરફથી આજે સવારે હુમલાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યા બાદ ભારતે પડોશી દેશ પાકિસ્તાનના હાઈકમિશનરને બોલાવવામાં આવ્યા હતા અને તેમની સમક્ષ વાંધાજનક પ્રશ્નો કરવામાં આવ્યા હતા. હાઇકમિશનરને બોલાવીને પાકિસ્તાનની હરકતો અંગે વાત કરવામાં આવી હતી. સાથે સાથે ભારતે બાનમાં રાખવામાં આવેલા ભારતીય પાયલોટની સુરક્ષિત વાપસીની રજૂઆત કરી હતી. ભારતીય વિદેશ મંત્રાલય અને ગૃહ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાન ભારતમાં લશ્કરી સ્થળોને ટાર્ગેટ કરવા હવાઈ દળનો ઉપયોગ કરી રહ્યો છે પરંતુ આ બાબતને ચલાવી લેવાશે નહીં. ભારત સરકારે તેના પાયલોટને પરત કરવા અને સલામત પરત કરવા માટે કહ્યું છે. જો કે, આ સંદર્ભમાં સત્તાવારરીતે જાણી શકાયું નથી.  આજે સાંજે ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા પાકિસ્તાનના ડેબ્યુટી હાઈકમિશનર સૈયદ હૈદર શાહને બોલાવીને તેમની સાથે વાત કરવામાં આવી હતી. સાઉથ બ્લોકના પાકિસ્તાનના પ્રિતિનિધિ આશરે ૫.૧૫ વાગે પહોંચ્યા હતા. અત્રે નોંધનીય છે કે, એક દિવસ પહેલા જ પાકિસ્તાનમાં ઘુસીને કાર્યવાહી કરવામાં આવી હતી. આજે પાકિસ્તાન દ્વારા હુમલાના પ્રયાસ કરાયા બાદ તેને નિષ્ફળ કરી દેવામાં આવ્યો હતો. ભારતે જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના એક વિમાનને ફુંકી માર્યું હતું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે કહ્યું હતં કે, આ કાર્યવાહીમાં  ભારતનું એક મિગ-૨૧ દુર્ઘટનાગ્રસ્ત થયું છે અને પાયલોટ લાપત્તા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતી જતી તંગદિલી વચ્ચે દુનિયાભરની નજર આ બે દેશ ઉપર કેન્દ્રિત થઇ ગઇ છે. અમેરિકા બાદ રશિયાનું નિવેદન પણ સપાટી ઉપર આવ્યું છે. રશિયાએ કહ્યું છે કે, રશિયા ભારત અને પાકિસ્તાન બંનેને સંયમ રાખવા માટે કહે છે. રશિયા હાલમાં વધી ગયેલી તંગદિલીને લઇને ચિંતાતુર છે. ભારતે આતંકવાદી અડ્ડાઓનો પર્દાફાશ કર્યા બાદ અને ત્રાસવાદી અડ્ડાઓનો ફૂંકી મારવામાં આવ્યા બાદ તંગદિલી વધી ગઈ છે. હુમલાના એક દિવસ બાદ આજે પાકિસ્તાને સવારે ભારતમાં લશ્કરી સ્થળો પર હુમલા કરવાના પ્રયાસ કર્યા હતા. પાકિસ્તાની પ્રયાસોને નિષ્ફળ કરી દેવામાં આવ્યા હતા. મોડેથી સાઉથ બ્લોકમાં પાકિસ્તાનના ડેપ્યુટી હાઇ કમિશનરને બોલાવવામાં આવ્યા હતા.

(12:00 am IST)