Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

મુંબઈ ભાજપના અધ્યક્ષ આશિષ શેલારને જાનથી મારી નાખવાની ધમકી : ઓફિસમાં મળ્યો નનામો પત્ર

પત્રમાં કહેવાયુ છે કે ભાજપના નેતાના ટુકડા કરવામાં આવશે:તેમની બાંદ્રા સ્થિત ઓફિસમાં મળેલા પત્રમાં ભાજપ અને શિંદે જૂથ વિરુદ્ધ અપશબ્દોનો પણ ઉપયોગ

મુંબઈ ભાજપના અધ્યક્ષ આશિષ શેલારને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, એક અજાણ્યા વ્યક્તિએ તેમને પત્ર દ્વારા ધમકી આપી છે. આ પત્ર તેમની બાંદ્રા સ્થિત ઓફિસમાં આવ્યો હતો. પત્રમાં કહેવામાં આવ્યું છે કે ભાજપના નેતાના ટુકડા કરવામાં આવશે. એટલું જ નહીં, તેમની ઓફિસમાં મળેલા પત્રમાં ભાજપ અને શિંદે જૂથ વિરુદ્ધ અપશબ્દોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

તેમની ઓફિસે આ અંગે માહિતી આપી છે. ઓફિસે જણાવ્યું કે આશિષ શેલારે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.એવું કહેવાય છે કે કોઈ અજાણ્યા વ્યક્તિએ ધમકીભર્યો પત્ર તેમની ઓફિસના લેટર બોક્સમાં નાખી દીધો હતો. અહેવાલો અનુસાર, આ પત્રમાં આશિષ શેલારને ધમકી આપનાર વ્યક્તિએ લખ્યું છે કે જો તમે આ રીતે આક્રમક રહેશો તો તમને અને તમારા પરિવારને મારી નાખવામાં આવશે.

એટલું જ નહીં મૃતદેહોને દરિયામાં ફેંકી દેવામાં આવશે. હાલ શેલારે તેમને ધમકી આપનાર અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધ્યો છે. આ અંગે પોલીસ પણ સતર્ક બની છે. તે દરેક એંગલથી તેની તપાસ કરી રહી છે.આશિષ શેલારને આવી ધમકીઓ મળી હોય તેવું આ પહેલીવાર નથી. ગત વર્ષે પણ તેને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. ત્યારબાદ ધમકી આપનાર વ્યક્તિએ તેમને ફોન પર ધમકી આપી હતી. ત્યારબાદ પણ તેણે આ મામલે ફરિયાદ નોંધાવી હતી અને આરોપીની પણ ધરપકડ કરવામાં આવી હતી.

(12:04 am IST)