Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

સગીર ભાઈ-બહેનની ક્રૂરતા પૂર્વક હત્યા : બંને બાળકોની આંખો પણ કાઢી લીધી

શંકાના આધારે આરોપી પાડોશીને કસ્ટડીમાં લેવાયો: પરસ્પર અદાવતમાં બાળકોની હત્યા થયાની આશંકા

નવી દિલ્હી : સગીર ભાઈ-બહેનની ક્રૂરતા પૂર્વક હત્યાની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. એક ખેતરમાંથી આંખે પાટા બાંધેલા બે સગીરના મૃતદેહ મળી આવ્યા છે. આ માહિતી પોલીસ  દ્વારા આપવામાં આવી છે.

આ ચોંકાવનારી ઘટના અમરાપરા પોલીસ સ્ટેશન વિસ્તારના અંબાડીહ ગામમાં ગુરુવારે રાત્રે બની હતી. પાકુરના એસપી હૃદીપ પી જનાર્ધને ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું કે ગામના એક ખેતરમાંથી એક સગીર છોકરી અને એક છોકરાના મૃતદેહ (Dead Bodies) મળી આવ્યા છે. પોલીસ અધિકારીએ કહ્યું કે બંનેની આંખો કાઢી લેવામાં આવી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસ અધિકારીએ જણાવ્યું કે મૃતક છોકરીની ઉંમર લગભગ 12 વર્ષ અને છોકરાની ઉંમર 10 વર્ષ છે. પોલીસના જણાવ્યા અનુસાર બંને બાળકોના પિતાના નિવેદનના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ આ કેસની પરસ્પર દુશ્મનાવટ સહિત તમામ એંગલથી તપાસ કરી રહી છે. એસપી હૃદીપ પી જનાર્ધને કહ્યું કે આ કેસમાં મૃતકના એક સંબંધીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. બંને બાળકો ભાઈ-બહેન હોવાનું કહેવાય છે.

બે બાળકોને નિર્દયતાથી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. હત્યાથી પણ દિલ ન ભરાયું ત્યારે હત્યારાઓએ બંને બાળકોની આંખો કાઢી લીધી. મૃતક બંને ભાઈ-બહેન હોવાનું કહેવાય છે. બાળકોના પિતાના જણાવ્યા અનુસાર તેમના બાળકો ગુરુવાર સાંજથી ગુમ હતા. ત્યારબાદ બંને બાળકો મોડી સાંજ સુધી ઘરે ન પહોંચતા પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી. શુક્રવારે સવારે ખેતરમાંથી બંને બાળકોના મૃતદેહ મળ્યાના સમાચાર મળતા જ પરિવારમાં દોડધામ મચી ગઈ હતી. સમાચાર મળતા જ પોલીસે મામલાની તપાસ શરૂ કરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, હત્યારાઓ એક બાળકની એક આંખ અને બીજા બાળકની બંને આંખ લઈ ગયા હતા. પ્રાથમિક તપાસ મુજબ બાળકોના પરિવારને પડોશમાં રહેતા ગોટિયા સાથે પરસ્પર વિવાદ ચાલી રહ્યો છે. આશંકા છે કે બાળકોની હત્યા પરસ્પર અદાવતના કારણે કરવામાં આવી છે. પોલીસ આ મામલાની ઝીણવટભરી તપાસ કરી રહી છે. શંકાના આધારે આરોપી પાડોશીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે, તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

(10:18 pm IST)