Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

જજો માટે આવી કોઇ સ્થાયી વ્યવસ્થા નથી

જાતીય સતામણીનો ભોગ બનેલા મહિલા જજનો SCમાં સવાલ, 'આખરે એક જજ પોતાની ફરિયાદ કયાં નોંધાવે?'

નવી દિલ્હી, તા.૨૮: મધ્ય પ્રદેશમાં એક મહિલા જજના યૌન ઉત્પીડન (જાતીય સતામણી) મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ તો સીનિયર એડવોકેટ ઈંદિરા જયસિંહે કોર્ટને જણાવ્યું કે, કાર્યસ્થળ પર યૌન ઉત્પીડનની ફરિયાદ માટે નીચલી અદાલતોમાં પણ મહિલા જજ પાસે કોઈ ઉચિત મંચ જ નથી. કોર્ટ્સમાં ફકત કર્મચારીઓ અને અધિકારીઓ માટે કમિટી બનેલી છે. જજો માટે આવી કોઈ સ્થાયી વ્યવસ્થા નથી.

હકીકતે મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં જિલ્લા અદાલતમાં મહિલા જજે પોતાના એક સીનિયર પર દુર્ભાવનાથી કામ કરવાનો અને યૌન ઉત્પીડનનો આરોપ લગાવીને સેવામાંથી ત્યાગપત્ર આપી દીધો હતો.

ઈંદિરા જયસિંહની આ દલીલ બાદ ચીફ જસ્ટિસ એનવી રમણાએ મધ્ય પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસને નિર્દેશ આપ્યો હતો કે, તેઓ દ્યટના અંગે ડિટેઈલમાં રિપોર્ટ મોકલે. હાઈકોર્ટે તપાસ માટે ૨ જજની કમિટી બનાવી હતી પરંતુ ફરિયાદકર્તા જજ તેનાથી અસંતુષ્ટ જણાયા માટે તેમણે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો.

પીડિત મહિલા જજે એ આધાર પર સુપ્રીમ કોર્ટમાં અરજી કરી કે, આવી દ્યટના સંજ્ઞાનમાં આવ્યા બાદ ઈન હાઉસ તપાસ કમિટી બનાવવાની અને પારદર્શી તપાસ કરાવવાની નિર્ધારીત પ્રક્રિયાનું પાલન ન કરવામાં આવ્યું. સુપ્રીમ કોર્ટે મહિલા જજની વાત સાંભળી તો ૨ જજની કમિટી ખારિજ કરીને ૩ જજની નવી કમિટીને તપાસની જવાબદારી સોંપી.

ઈંદિરા જયસિંહે કોર્ટને જણાવ્યું કે, તે કમિટીએ પણ ના પુરાવા એકઠા કર્યા, ના નિવેદનના આધાર પર ક્રોસ એકઝામિનેશન એટલે કે, તમામ આરોપીઓ અને કેસ સાથે સંકળાયેલા અન્ય લોકોને મળીને તેમની ઉલટતપાસ કરી. કમિટીએ કહી દીધું કે, તથ્ય પૂરા અને સંતોષજનક ન હોતાં.આ બધા વચ્ચે ૫૦ સાંસદોએ પોતાના હસ્તાક્ષરવાળો પ્રસ્તાવ પારિત કરીને સંસદમાં મોકલ્યો કે, સંસદમાં મધ્ય પ્રદેશ હાઈકોર્ટના આરોપી જજ વિરૂદ્ઘ મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવે. મહાભિયોગ ચલાવવાનો પ્રસ્તાવ પણ સંસદમાં મંજૂર થઈ ગયો અને તેના માટે તપાસ સમિતિ પણ બનાવી દેવાઈ. પરંતુ આ દરમિયાન સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી કરી રહેલી પીઠના અધ્યક્ષ જસ્ટિસ વિક્રમજીત સેન સેવા નિવૃત થઈ ગયા અને જસ્ટિસ આર ભાનુમતિએ તેમની જગ્યા લઈ લીધી.

૩ જજની કમિટીએ નોંધ્યું કે, ટ્રાન્સફરની નીતિનો અમલ નહોતો થયો. મહિલા જજ પર બળજબરીથી મોટા શહેરમાંથી નાના શહેરમાં ટ્રાન્સફર સ્વીકાર કરવાની કે પછી રાજીનામુ આપવાનું દબાણ બનાવવામાં આવ્યું. જિલ્લા અદાલતોમાં જજોની ટ્રાન્સફર પોલિસીમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, જો જજની દીકરી ૧૨માં ધોરણમાં છે કે, પરીક્ષા આપવાની છે તો ત્યાં સુધી બદલી ટાળી દેવામાં આવશે.

અરજીકર્તા મહિલા જજને આ મુદ્દે પણ પોતાની બદલી એક વર્ષ સુધી ટાળવાનો અધિકાર હતો. આ પ્રતાડનના કારણે મહિલા જજે પોતાના પદેથી રાજીનામુ આપવું પડ્યું, હકીકતે તેઓ પોતાની ફરજ પ્રત્યે યોગ્ય હતા. તેમની એસીઆર બિલકુલ સાફસુથરી છે.

(3:16 pm IST)