Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

મહારાષ્ટ્રમાં હવે કરિયાણાની દુકાન અને સુપર માર્કેટમાં મળશે વાઈન

રાજ્ય સરકાર દ્વારા કરિયાણાની દુકાનો અને સુપરમાર્કેટમાં વાઇન વેચાણ માટે ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય

મુંબઈ : મહારાષ્ટ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. હવે રાજ્યમાં કરિયાણાની દુકાનો અને સુપરમાર્કેટમાં વાઇન ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે સુપરમાર્કેટ એક હજાર ચોરસ ફૂટથી વધુ મોટી છે. ત્યાં સ્ટોલ ઉભા કરીને વાઇન વેચાણની મંજૂરી આપવામાં આવશે.આ દસ વર્ષ પહેલાનો પ્રસ્તાવ છે. જેના પર આજે નિર્ણય લેવામાં આવ્યો હતો.

રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર ખેડૂતોનું ઉત્પાદન વધારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. NCP નેતા નવાબ મલિકે જણાવ્યું હતુ કે, આજે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે તેમણે વાઈન શરૂ કરવાના નિર્ણયનો વિરોધ કરનાર ભાજપની પણ આકરી ટીકા કરી હતી.

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં આજે રાજ્ય કેબિનેટની (Cabinet Committee) બેઠક મળી હતી. તેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જે બાદ એનસીપી નેતા નવાબ મલિકે મીડિયા સાથે વાતચીત કરતા આ અંગે માહિતી આપી હતી. રાજ્ય સરકાર દ્વારા સુપરમાર્કેટમાં વાઇનના વેચાણને મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવાબ મલિકે જણાવ્યુ હતુ કે 1,000 ચોરસ ફૂટ સુધીના સુપરમાર્કેટમાં વાઇન વેચાણની મંજૂરી આપવામાં આવશે.

વધુમાં મલિકે કહ્યુ કે, રાજ્યમાં વાઇનરી ખેડૂતોના ફળ ઉત્પાદન પર ચાલે છે. આ નિર્ણય ખેડુતોના હિતમાં લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી સુપરમાર્કેટમાં એક સ્ટોલ શોકેસ બનવા જઈ રહ્યો છે. ભાજપ ગોવા અને હિમાચલમાં પણ આ જ નીતિ અમલમાં છે. તેમના શાસન હેઠળના ઘણા રાજ્યોમાં ભાજપે દારૂ વેચવાની નીતિ અપનાવી છે. જો કે, અહીં તેઓ વિરોધ કરી રહ્યા છે.

ઉપરાંત આ કેબિનેટમાં નવી શિક્ષણ નીતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. માશેલકર કમિટીએ આ અહેવાલ આપ્યો હતો. તેની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યમાં શિક્ષણ પ્રણાલીને પાંચ વિભાગમાં વહેંચવામાં આવી છે. હવે કેબિનેટ જૂથની રચના કરવામાં આવશે અને ભલામણોના આધારે આગામી સમયમાં નિર્ણય લેવામાં આવશે.

(12:00 am IST)