Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

અમને કોઈપણ ઉશ્કેરશે તો અમે તેને છોડીશું નહીં

રક્ષામંત્રી રાજનાથ સિંહની ચીન-પાકિસ્તાનને ચેતવણી : ભારતે દુનિયાને દેખાડ્યું છે કે તે મજબૂત દેશ છે : રક્ષામંત્રી રાજનાથ સિંહ

નવી દિલ્હી, તા.૨૭ : અમે કોઈને ઉશકેરીશું નહીં, પણ કોઈ અમને ઉશકેરશે તો અમે છોડશું નહીં. કોઈએ દેશની એક ઇંચ જમીન પર કબજો કર્યો નથી. આપણી જમીન પર કબજો કરવાનો પ્રયાસ કરશે તો અમે છોડીશું નહીં. રક્ષા મંત્રી રાજનાથ સિંહે શનિવારે લખનઉના જૌનપુરમાં એક કાર્યક્રમમાં આ વાત કહી છે.

રાજનાથ સિંહે કહ્યુ કે, ભારતે દુનિયાને દેખાડ્યું છે કે તે એક મજબૂત દેશ છે. રક્ષામંત્રીના આ નિવેદનને પાકિસ્તાન સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, અમે આપણા પાડોશીઓ સાથે સારો સંબંધ ઈચ્છીએ છીએ. ભારત ન ક્યારેય કોઈ દેશ પર હુમલો કર્યો છે, ન કોઈ દેશની જમીન પર કબજો કર્યો છે. પાડોશીઓની સાથે સારા સંબંધ ભારતની સંસ્કૃતિ રહી છે, પરંતુ કેટલાક લોકો તેને સમજતા નથી.

રક્ષાંત્રીએ કહ્યુ કે, મને નથી ખ્યાલ આ તેની આદત છે કે સ્વભાવ. પાકિસ્તાનનું નામ લેતા રક્ષામંત્રીએ કહ્યુ કે, તે આતંકવાદી ગતિવિધિઓના માધ્યમથી ભારતને અસ્થિર કરવાનો પ્રયાસ કરતું રહે છે. તેને આકરો સંદેશ આપી દેવામાં આવ્યો છે.

તેમણે કહ્યું કે અમે પશ્ચિમી સરહદ પરના અમારા પાડોશીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જો તે સરહદ પાર કરશે તો અમે માત્ર સરહદો પર જ જવાબી કાર્યવાહી નહીં કરીએ, પરંતુ તેના ક્ષેત્રમાં ઘૂસીને સર્જિકલ અને હવાઈ હુમલા પણ કરીશું. ચીનનું નામ લીધા વિના સંરક્ષણ પ્રધાને કહ્યું કે, અમારો બીજો પાડોશી છે, જે વસ્તુઓને સમજી શકતો નથી. રાજનાથ સિંહે કહ્યું કે હું સ્પષ્ટ કરવા માંગુ છું કે જો દુનિયાનો કોઈ દેશ આપણી એક ઈંચ પણ જમીન હડપ કરવાનો પ્રયાસ કરશે તો ભારત જડબાતોડ જવાબ આપશે.

(9:14 pm IST)