Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

૧૦ લાખ લઈને તસ્કરોને ભગાડનારા પીઆઈ સસ્પેન્ડ

રાજસ્થાનના બરલૂટ પોલીસ સ્ટેશનનો બનાવ : સીમા જાખડ ઉપરાંત ત્રણ કોન્સ્ટેબલ સુરેશ વિશ્નોઈ, હનુમાન વિશ્નોઈ અને ઓમ પ્રકાશ વિશ્નોઈ પણ સસ્પેન્ડ

સિરોહી, તા.૨૭ : ૧૦ લાખ રૂપિયા લઈને તસ્કરોને ભગાડવાના કેસમાં બરલૂટ પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ ઈન્સ્પેક્ટર સીમા ઝાખડને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. આઈજી નવજ્યોતિ ગોગોઈએ આ મામલાની ગંભીરતાને જોતાં પીએસઆઈ સીમા જાખડને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો. સીમા જાખડ ઉપરાંત ત્રણ કોન્સ્ટેબલ સુરેશ વિશ્નોઈ, હનુમાન વિશ્નોઈ અને ઓમ પ્રકાશ વિશ્નોઈને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ડીએસપી મદન સિંહ ચૌહાણની તપાસમાં ચારેય દોષિત હોવાનું સાબિત થયું હતું. રિપોર્ટ બાદ ચારેયને સસ્પેન્ડ કરાયા છે.

મીડિયા રિપોર્ટ મુજબ, સિરોહીના એસપી ધર્મેન્દ્ર સિંહે પુષ્ટિ કરી છે કે, આ ચારેય પોલીસકર્મીઓને નોકરીમાંથી હટાવાયા છે. પહેલા એસપી ધર્મેન્દ્ર સિંહે જ ચારેયને સસ્પેન્ડ કર્યા હતા. કેસની સંપૂર્ણ તપાસ ડીએસપી મદન સિંહ ચૌહાણને સોંપાઈ હતી. સીમા જાખડ પર કાર્યવાહી માટે સંબંધિત ફાઈલ જોધરપુર આઈજી નવજ્યોતિ ગોગોઈને મોકલવામાં આવી હતી. ગોગોઈએ શુક્રવારે પીએસઆઈ સીમા જાખડને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો.

સસ્પેન્ડ કરાયેલા સીમા જાખડના ૨૮ નવેમ્બરે લગ્ન છે. લગ્નના બે દિવસ પહેલાં જ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, સીમા જાખડ અને ત્રણેય કોન્સ્ટેબલ પર આરોપ હતો કે, તેમણે ૧૦ દિવસ પહેલા ૧૦ લાખ રૂપિયા લાંચ લઈને અફીણના સ્મગલરોને છોડી દીધા હતા. ૧૪૧ કિલો અફીણ લઈને જઈ રહેલા તસ્કરો ગત ૧૪ નવેમ્બરે નાકાબંધી દરમિયાન ફસાયા હતા. તેમની કાર પંચર થતાં તેઓ ત્યાં જ મૂકીને ફરાર થઈ ગયા હતા. ભ્રષ્ટ પોલીસકર્મીઓએ તેમનો સંપર્ક કરીને તેમને પાછા બોલાવ્યા હતા અને તેમની સાથે ડીલ કરી હતી. બાતમીદારે એસપીને આ ડીલ અંગે જાણકારી આપતાં તેમણે તપાસ શરૂ કરી હતી. ત્યારે એક હોટેલમાંથી તસ્કરોની આસપાસ ફરતાં પોલીસકર્મીઓના ફૂટેજ મળ્યા હતા.

સૂત્રોનું માનીએ તો, સીસીટીવી ફૂટેજમાં પોલીસની ટીમ ૨ સંદિગ્ધ આરોપીઓ સાથે ફરતી દેખાઈ રહી છે. આ તસ્કરોની ઓળખ હજી સુધી થઈ શકી નથી. એસપીએ પ્રારંભિક તપાસમાં જ એસએચઓ અને ત્રણેય કોન્સ્ટેબલની ભૂમિકા શંકાસ્પદ લાગતાં તેમને સસ્પેન્ડ કર્યા હતા અને આગળની તપાસ મદન સિંહને સોંપી હતી. હવે રાજસ્થાન પોલીસે આ ચારેયને સસ્પેન્ડ કર્યા છે.

સસ્પેન્ડ કરાયા બાદ સીમા જાખડે સોશિયલ મીડિયા પર પોસ્ટ લખીને પોલીસ વિભાગે એકતરફી નિર્ણય કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. સાથે જ તેમણે કહ્યું છે કે, પોલીસ તેમના ફોનને એફએસએલ તપાસ માટે મોકલી શકે છે. હવે અદાલત પાસે જ ન્યાયની આશા હોવાનું તેમણે જણાવ્યું છે.

(7:49 pm IST)