Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

શાહરૂખ પાસે કસ્ટમ ડ્યૂટી પેટે દોઢ લાખ વસૂલ્યા હતા

આર્યન ખાનની ધરપકડ બાદ સમીર વાનખેડે ચર્ચામાં : શાહરુખ પરિવાર સાથે હોલેન્ડ અને લંડન ટ્રિપથી પાછો આવ્યો ત્યારે વાનખેડે કસ્ટમમાં આસિસ્ટન્ટ કમિશ્નર હતા

મુંબઈ, તા.૨૭ : ડ્રગ કેસમાં આર્યન ખાનની ધરપકડ થયા પછી નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોના ઝોનલ ડિરેક્ટર સમીન વાનખેડેની ઘણી ચર્ચા થઈ રહી છે. જો કે, ઘણાં ઓછા લોકો જાણતા હશે કે આ પહેલી વાર નથી કે શાહરુખ ખાનનો સામનો સમીર વાનખેડે સામે થયો છે. આ પહેલા પણ એક વાર સમીન વાનખેડેએ શાહરુખને રોક્યો હતો. કસ્ટમ ડ્યુટી ન ભરવાને કારણે શાહરુખ ખાન પર લગભગ દોઢ લાખ રુપિયા દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.

વર્ષ ૨૦૧૧માં શાહરુખની મુલાકાત સમીન વાનખેડે સાથે થઈ હતી. શાહરુખ ખાન તે સમયે પોતાના આખા પરિવાર સાથે હોલેન્ડ અને લંડન ટ્રિપથી પાછો આવી રહ્યો હતો. શાહરુખ પરિવાર સાથે વેકેશન માણવા ગયો હતો. સમીન વાનખેડેની ટીમે શાહરુખ ખાનને એરપોર્ટ પર જ રોકી લીધો હતો. તેની પાસે વિદેશી સામાન હતો, જેના પર કસ્ટમ ચાર્જ ભરવો જરુરી હતો.

તે સમયે સમીર વાનખેડે એરપોર્ટ પર કસ્ટમ ઓફિસમાં આસિસ્ટન્ટ કમિશ્નર તરીકે કામ કરી રહ્યા હતા. શાહરુખ ખાન પાસે તે સમયે ઓછામાં ઓછી ૨૦ સ્યુટકેસ હતી. આ સામાનને કારણે કલાકો સુધી તેણે એરપોર્ટ પર બેસી રહેવુ પડ્યુ હતું. સમીર વાનખેડેની ટીમ દ્વારા શાહરુખના સામાનને ચકાસવામાં આવ્યો હતો. જ્યાં સુધી શાહરુખ ખાને દોઢ લાખ રુપિયા કસ્ટમ ડ્યુટી નહોતી ભરી ત્યાં સુધી તેને અને પરિવારને જવાની મંજૂરી નહોતી મળી.

ઉલ્લેખનીય છે કે શાહરુખ ખાન એકમાત્ર અભિનેતા નથી જેનો સામનો સમીર વાનખેડે સાથે થયો હોય. એરપોર્ટ પર સમીન વાનખેડેની પૂછપરછનો સામનો અનેક ફિલ્મી સિતારાઓએ કરવો પડ્યો છે.

આ નામમાં એક નામ અનુષ્કા શર્માનું પણ છે. કહેવાય છે કે સમીર વાનખેડેએ એરપોર્ટ પર ૧૧ કલાક સુધી અનુષ્કાની   પૂછપરછ કરી હતી. તેની પાસે ડાયમંડનું બ્રેસલેટ, નેકલેસ, ઈયર રિંગ્સ અને ૨ કિંમતી ઘડિયાળ મળી હતી. આ સિવાય દીપિકા પાદુકોણ, કેટરિના કૈફ, મિનીષા લાંબા, રણબીર કપૂર, મીકા સિંહ, બિપાશા બાસુ, વિવેક ઓબરોય, અનુરાગ કશ્યપ, રિયા ચક્રવર્તી જેવા બોલિવૂડ સ્ટાર્સ સમીર વાનખેડેનો સામનો કરી ચૂક્યા છે. સમીર વાનખેડે પર આરોપ પણ મૂકવામાં આવ્યો હતો કે, તેઓ બોલિવૂડને ટાર્ગેટ કરે છે. આ આરોપના જવાબમાં સમીરે કહ્યુ હતું કે, હું બોલિવૂડના વિરોધમાં નથી, જે લોકો કાયદાનો ભંગ કરશે તેમના વિરોધમાં છું.

નોંધનીય છે કે અત્યારે આર્યન ખાન કેસમાં સમીન વાનખેડે પર આઠ કરોડ રુપિયા લાંચ લેવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. એનસીબીના જ એક સાક્ષીએ આ આરોપ મૂક્યો છે. ત્યારપછી સમીર વાનખેડેના પત્ની અને બહેને મીડિયા સામે આવીને આ આરોપોને ફગાવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે, જે પણ તપાસ કરાવવી હોય કરાવી શકો છો, સમીરને ક્લીનચીટ જ મળશે, કારણકે તે પ્રામાણિક અધિકારી છે.

 

(7:50 pm IST)