Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

નવાબ મલિકે શેર કરી સમીર વાનખેડેના લગ્ન અને નિકાહનામાની તસવીર

નવાબે સમીરના લગ્નની એક તસવીર પણ શેર કરી છેઃ જેમાં તેઓ પહેલી પત્ની શબાના કુરેશી સાથે નજરે પડી રહ્યાં છે

મુંબઇ, તા.૨૭: ક્રૂઝ પાર્ટી ડ્રગ કેસમાં NCB ઝોનલ ડાયરેકટર સમીર વાનખેડે પર એક પછી એક આરોપો મૂકનારા મહારાષ્ટ્રના મંત્રી અને NCP નેતા નવાબ મલિકે વાનખેડેના નિકાહનામા જાહેર કર્યા છે. નવાબ મલિકે સમીર વાનખેડેના નિકાહનામાની કોપી શેર કરી છે. આટલું જ નહીં નવાબે સમીરના લગ્નની એક તસવીર પણ શેર કરી છે, જેમાં તેઓ પહેલી પત્ની શબાના કુરેશી સાથે નજરે પડી રહ્યાં છે.

આર્યન ડ્રગ્સ કેસમાં NCB ઝોનલ ડાયરેકટર સમીર વાનખેડેના જાતિ પ્રમાણપત્ર પર સવાલ ઉઠાવ્યા બાદ નવાબ મલિકે સમીર વાનખેડેના પહેલા લગ્નની તસવીર અને નિકાહનામાની નકલ જાહેર કરી છે. તેમણે કેપ્શનમાં લખ્યું કે, એક સ્વીટ કપલનો ફોટો. તેમણે બીજી ટ્વિટમાં નિકાહનામાની કોપી શેર કરી છે.

મલિકે એક બીજી ટ્વિટમાં કહ્યું કે, હું સ્પષ્ટ કરવા માંગુ છું કે હું સમીર દાઉદ વાનખેડેના જે મુદ્દાને ઉજાગર કરી રહ્યો છું, તે તેના ધર્મનો નથી. હું તે છેતરપિંડીઓને સામે લાવવા માંગુ છું કે જેના દ્વારા તેમણે IRSના નોકરી મેળવવા માટે જાતિનું પ્રમાણપત્ર મેળવ્યું છે અને એક લાયક અનુસૂચિત જાતિના વ્યકિતને તેના ભવિષ્યથી વંચિત રાખ્યા છે.

ઉલ્લેખનીય છે કે, અભિનેતા શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનના કેસની તપાસના મુખ્ય અધિકારી નાર્કોટિકસ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)ના મુંબઇ ઝોનના ડિરેકટર સમીર વાનખેડેની મુશ્કેલીઓ વધતી હોય તેમ લાગે છે.

મુંબઇ પોલીસને તેમની સામે ખંડણીના ચાર કેસો મળ્યા છે અને આ દાવાઓની ચકાસણી માટે તપાસ શરૂ કરી દેવાઇ છે.

(4:04 pm IST)