Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

ચૂંટણી રાજનીતિ હેઠળ પવાર વિરૂદ્ધ કેસ : રાહુલગાંધીનો ધડાકો

શરદ પવારને રાહુલ ગાંધી અને શિવસેનાનો સાથ મળ્યો : મોદીની સરકાર બદલાની રાજનીતિ કરીને પવારને ટાર્ગેટ બનાવી રહી છે : રાહુલ ગાંધીએ ટ્વિટ કરી કરેલા આક્ષેપો

મુંબઈ,તા.૨૭ : કો-ઓપરેટિવ બેંક કૌભાંડમાં ઇડી તરફથી એફઆઈઆર દાખલ કરવામાં આવ્યા બાદ શરદ પવારને હવે રાહુલ ગાંધીનું સમર્થન મળી ગયું છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે શરદ પવારનું સમર્થન કરતા કહ્યું છે કે, સરકાર બદલાની રાજનીતિથી કામ કરી રહી છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું છે કે, બદલા લેવાની ભાવના સાથે કામ કરી રહેલી સરકાર હવે શરદ પવારને ટાર્ગેટ બનાવી રહી છે. મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા આ પગલા રાજકીય તકના સંકેત આપે છે. મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા જોરદાર રાજકીય ગરમી જામી છે. પ્રદેશમાં આગામી મહિને યોજાનાર ચૂંટણીથી પહેલા પવાર ઉપર કેસ દાખલ કરવામાં આવ્યા બાદ રાજકીય ગરમી વધી ગઈ છે. રાહુલ ગાંધીના આ ટ્વિટ બાદ એનસીપીના નેતાએ રાહુલ ગાંધીનો આભાર માન્યો છે.

             બંને પક્ષો વિધાનસભાની ચૂંટણીમાં એક સાથે મેદાનમાં ઉતરી રહ્યા છે. ભાજપ અને શિવસેના મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી સાથે લડી રહ્યા છે ત્યારે કોંગ્રેસ અને એનસીપી પણ એક સાથે મેદાનમાં છે. એનસીપી નેતાઓએ રાહુલ ગાંધીનો આભાર માનતા કહ્યું છે કે, ભાજપની બદલાની રાજનીતિ સામે રાહુલ ગાંધી મજબૂતરીતે એનસીપી સાથે ઉભા છે. તમામ લોકો જાણે છે કે, મહારાષ્ટ્રમાં કો-ઓપરેટિવ બેંક કૌભાંડમાં ઇડીએ એનસીપીના વડા શરદ પવારની સામે કેસ દાખલ કર્યો છે. આ કેસમાં બેંકના ૭૦થી વધુ પૂર્વ અધિકારીઓની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. બીજી બાજુ રાહુલ ગાંધી ઉપરાંત શરદ પવારને ભાજપના સાથી પક્ષ શિવસેનાનું પણ સમર્થન મળ્યું છે. શિવસેનાના નેતા સંજય રાવતે કહ્યું છે કે, સરકારને આ બાબત જોવાની જરૂર છે કે, આખરે શું ચાલી રહ્યું છે.

           ઇડીને આ મામલા પર સરકાર સાથે વાતચીત કરવાની જરૂર છે. તેમના સમર્થનમાં સમગ્ર રાજ્યમાં દેખાવો કરવામાં આવી રહ્યા છે. સમર્થકો દ્વારા આકરી પ્રતિક્રિયાઓ પણ મળી રહી છે. ઇડી તરફથી એફઆઈઆર દાખલ કરવામાં આવ્યા બાદ શરદ પવાર આજે ઇડીની ઓફિસ સમક્ષ ઉપસ્થિત થનાર હતા પરંતુ છેલ્લી ઘડીએ ઇડીની ઓફિસમાં ન જવાનો નિર્ણય કર્યો હતો. મુંબઈમાં હિંસાની આશંકા હતી જેથી આ સ્થિતિને ટાળવા માટે મુંબઈના પોલીસ કમિશનર મળવા માટે પહોંચ્યા હતા. પવારના આવાસ ઉપર પહોંચીને પોલીસ કમિશનરે ઇડીની ઓફિસમાં ન જવા માટે કહ્યું હતું. શરદ પવારે ગઇકાલે સંકેત આપ્યો હતો કે, તેઓ ઇડીની ઓફિસમાં ઉપસ્થિત રહેશે ત્યારબાદથી મુંબઈમાં અનેક પગલા લેવામાં આવ્યા હતા. કલમ ૧૪૪ લાગૂ કરવામાં આવી હતી. સાથે સાથે નિયંત્રણો લાગૂ કરાયા હતા. હવે નિયંત્રણો હળવા કરાયા છે.

(7:41 pm IST)