Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

ટોક્યો ઓલમ્પીકથી આવનારા ખેલાડીઓને નેગેટિવ RT-PCR રિપોર્ટની જરુર નહીં પડે

સ્વદેશ પરત ફરતી વખતે આરટી પીસીઆર ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ બતાવવામાંથી છૂટ અપાઈ : સંયુક્ત સચિવે આપી સૂચના :ખેલાડીઓ અધિકારીઓ આઈઓએ પ્રતિનિધિઓ એનએસએફ અધિકારી અને મીડિયાને રાહત

નવી દિલ્હી : ભારત સરકારે 25 જુલાઇએ ટોક્યો ઓલિમ્પિક 2020માં રમવા ગયેલા ખેલાડીઓ,અધિકારીઓ અને મીડિયાને મોટી રાહત આપી છે. સરકારે કહ્યુ કે ઓલિમ્પિક રમતો માટે ગયેલા લોકોને જાપાનની રાજધાનીથી રવાના થતા પહેલા કોરોનાનો આરટી પીસીઆર ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ (RT-PCR) બતાવવાની જરુર રહેશે નહિ

   સ્વાસ્થ અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલ દ્વારા  ઓફિશિયલ લેટરમાં આ નિર્ણયની સૂચના આપવામાં આવી. આ પહેલા ભારતીય ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ નરિંદર બત્રાએ સરકારને અનુરોધ કર્યો હતો કે ઓલિમ્પિક દળનુ રસીકરણ થઇ ચૂક્યુ છે અને ટોક્યોમાં નિયમિત રીતે કોરોના ટેસ્ટ થઇ રહ્યા હતા. તો તેમને સ્વદેશ પરત ફરતી વખતે આરટી પીસીઆર ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ બતાવવામાંથી છૂટ આપવામાં આવે.

સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીએ કહ્યુ કે માત્ર એ જ વ્યક્તિઓને ફ્લાઇટમાં ચઢવાની અનુમતિ આપવામાં આવશે જે ભારત માટે રવાના થતા પહેલા તપાસમાં નેગેટિવ આવ્યા છે. આ સિવાય ટોક્યોથી પરત આવનારા તમામ લોકોનુ ભારત પહોંચ્યા બાદ ફરી પરીક્ષણ કરવામાં આવશે.

રમત-ગમત મંત્રાલયે મોકલાવેલા આ પત્રમાં લખવામાં આવ્યુ કે ફ્લાઇટમાં માત્ર એ જ વ્યક્તિઓને ચઢવાની અનુમતિ આપવામાં આવશે જેમને બિમારીના કોઇ લક્ષણ નહિ હોય, દળ પાછુ ફરશે ત્યારે તેમનુ ફરી પરીક્ષણ કરવામાં આવશે. તેમને 14 દિવસ સુધી પોતાના સ્વાસ્થ્ય પર જાતે જ ધ્યાન રાખવાનુ રહેશે.

આપને જણાવી દઇએ કે આ પહેલા બત્રાએ રમત-ગમત સચિવ રવિ મિત્તલને લખેલા પત્રમાં કહ્યુ વિદેશથી પરત ફરતી વખતે ભારતમાં પ્રવેશ પહેલા આરટી પીસીઆર રિપોર્ટ દેખાડવો જરુરી છે. જાપાનથી આવનારા લોકો પર આ લાગૂ પડે છે. હુ અનુરોધ કરુ છુ કે ટોક્યોથી પરત ફરતા ખેલાડીઓ અધિકારીઓ આઈઓએ પ્રતિનિધિઓ એનએસએફ અધિકારી અને મીડિયાને આમાંથી છૂટ આપવામાં આવે.

(12:11 pm IST)