Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

રાજસ્‍થાનના મુખ્‍યમંત્રી અશોક ગેહલોતને મોટી રાહતઃ હાઇકોર્ટે ભાજપના ધારાસભ્ય મદન દિલાવરની અરજી ફગાવી દીધીઃ બસપાના તમામ ૬ ધારાસભ્યોને કોંગ્રેસમાં વિલય કરવા વિરૂદ્ધ અરજી કરી હતી

જયપુર: રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને મોટી રાહત મળી છે. હાઈકોર્ટે ભાજપના ધારાસભ્ય મદન દિલાવરની અરજી ફગાવી દીધી છે. મદન દિલાવરે બહુજન સમાજ પાર્ટી (BSP)ના તમામ 6 ધારાસભ્યોને કોંગ્રેસમાં વિલય કરવા વિરુદ્ધ અરજી દાખલ કરી હતી.

હકીકતમાં ભાજપ ધારાસભ્ય મદન દિલાવરે બસપાના 6 ધારાસભ્યોના કોંગ્રેસમાં વિલય વિરુદ્ધ વિધાનસભા સ્પીકર સીપી જોશીને અરજી કરી હતી, આ અરજી પર કોઈ કાર્યવાહી ના થવાના કારણે તેમણે રાજસ્થાન હાઈકોર્ટમાં પડકારી હતી. આ મામલે સુનાવણી કરતા રાજસ્થાન હાઈકોર્ટે તેમની અરજીને ફગાવી દીધી છે.

BSPની અરજી પણ ફગાવાઈ
ભાજપ ધારાસભ્ય મદન દિલાવરની અરજીમાં પક્ષકાર બનવા માટે BSPએ પણ આજે અરજી દાખલ કરી હતી. બસપાની અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટે સોમવારે જણાવ્યું કે, જ્યારે મદન દિલાવરની અરજી રદ્દ થઈ ગઈ છે, તો બસપાને પક્ષકાર બનવાની કોઈ જરૂરિયાત નથી જણાતી.

શું છે સમગ્ર મામલો?

ભાજપ ધારાસભ્ય મદન દિલાવરે સ્પીકર સીપી જોશી સમક્ષ 4 મહિના પહેલા BSP ધારાસભ્ય લખન સિંહ (કરૌલી), રાજેન્દ્ર સિંહ ગુઢા (ઉદયપુરવાટી), દીપચંદ ખેડિયા (કિશનગઢ બાસ), જોગેન્દર સિંહ અવાના (નદબઈ), સંદીપ કુમાર (તિજારા) અને વાજીબ અલી (નગર, ભરતપુર)ના કોંગ્રેસમાં સામેલ થવા વિરુદ્ધ ફરિયાદ કરી હતી.

મદન દિલાવરે અપીલ કરી હતી કે, આ 6 ધારાસભ્યોને દલ-બદલ કાયદા અંતર્ગત વિધાનસભાના સભ્ય તરીકે ગેરલાયક ઠેરવવામાં આવે. જો કે સ્પીકરે કોઈ કાર્યવાહી કરી નહતી. જે બાદ મદન દિલાવર હાઈકોર્ટ પહોંચ્યા હતા. આ દરમિયાન 24 જુલાઈએ સ્પીકરે તેમની અરજીને રદ્દ કરી દીધી હતી.

(4:45 pm IST)