Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

ખાદ્યતેલની સંગ્રહખોરીને ડામવા કેન્દ્રનો મોટો નિર્ણય : વેપારીઓ માટે સ્ટોક મર્યાદામાં લાગુ

ખાદ્યતેલના હોલસેલ વેપારીઓ 50 ક્વિન્ટલની મર્યાદામાં અને રીટેઇલ વેપારીઓ 5 ક્વિન્ટલની મર્યાદામાં ખાદ્યતેલનો સંગ્રહ કરી શકશે

નવી દિલ્હી :વધતી જતી મોંઘવારીએ સરકાર માટે એક પડકાર છે. તેમાં પણ ખાદ્યતેલના વધતા જતા ભાવને કારણે મધ્યમવર્ગની કમર તુટી છે. ત્યારે સરકાર મોંઘવારીને ડામવા માટે અનેક પગલા ઉઠાવી રહી છે. ખાદ્યતેલના વધતા જતા ભાવોને અંકુશમાં લેવા માટે અને મોંઘવારી ડામવા માટે કેન્દ્ર સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઘણી વખત વેપારીઓ દ્વારા જ સંગ્રહખોરી કરવામાં આવતી હોય છે. જેના કારણે બજારમાં કૃત્રિમ અછત ઉભી થતા જે – તે વસ્તુના ભાવ આસમાને પહોંચતા હોય છે. ત્યારે આ પ્રકારની સંગ્રહખોરીને ડામવા કેન્દ્ર સરકારે વેપારીઓ માટે મર્યાદા નક્કી કરી છે. જેમાં ખાદ્યતેલના હોલસેલ વેપારીઓ 50 ક્વિન્ટલની મર્યાદામાં અને રીટેઇલ વેપારીઓ 5 ક્વિન્ટલની મર્યાદામાં ખાદ્યતેલનો સંગ્રહ કરી શકશે.

આ ઉપરાંત વેપારીઓએ ફરજીયાત રીતે કેન્દ્ર સરકારના પોર્ટલ પર આંકડા રજુ કરવા પડશે. ઉલ્લેખનીય છે કે, માર્ચ મહીનામાં સૌરાષ્ટ્રના વિવિધ ઓઈલમીલમાં કેન્દ્ર સરકારની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડાનો રીપોર્ટ કેન્દ્ર સરકારને સોપી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ સરકારે આ પગલું લીધુ છે. આ સાથે જ રાહતની વાત એ છે કે, ઈન્ડોનેશિયા દ્વારા નિકાસના પ્રતિબંધો હટાવાયા છે. જેથી ઈન્ડોનેશીયામાંથી આયાત કરવામાં આવતા તેલની આવક પણ વધી છે. આ કારણોથી ભાવ વધારો ચોકક્સપણે અંકુશમાં આવશે.

(8:27 pm IST)