Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

એવોર્ડની પુરસ્કાર રકમ ડોનેટ કરવા મોદીનો નિર્ણય

લતા મંગેશકની સ્મૃતીમાં વડાપ્રધાનને એવોર્ડ અપાયો હતો : ટ્રસ્ટનો પણ વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલી એક લાખ રૃપિયાની રકમ પીએમ કેર ફંડમાં આપવાનો નિર્ણય

નવી દિલ્હી, તા.૨૭ : સ્વર કોકિલા લતા મંગેશકર હવે આપણાં વચ્ચે નથી રહ્યા પરંતુ તેમણે ગાયેલા હજારો ગીતો આજે પણ આપણાં હૃદયમાં ધબકી રહ્યા છે. તેમના અવસાન બાદ તેમની સ્મૃતિમાં અને તેમને સન્માન આપવા માટે દીનાનાથ મંગેશકર પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

માસ્ટર દીનાનાથ મંગેશકર સ્મૃતિ પ્રતિષ્ઠાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રથમ વાર્ષિક પુરસ્કાર આપવામાં આવ્યો હતો. દેશ અને દેશવાસીઓ માટે શાનદાર અને અનુકરણીય યોગદાન આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ પુરસ્કાર એનાયત થયો હતો.

વડાપ્રધાન મોદીએ આ પુરસ્કાર સાથે મળનારી ધનરાશિ એક ચેરિટી માટે ડોનેટ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારે ટ્રસ્ટે વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલી એક લાખ રૃપિયાની ધનરાશિને પીએમ કેર ફંડમાં આપવાનો નિર્ણય લીધો છે. લતા મંગેશકરના ભાઈ હૃદયનાથ મંગેશકરે ટ્વિટરના માધ્યમથી તે રકમ પીએમ કેર ફંડમાં આપવાનો નિર્ણય લેવાયો હોવાની જાહેરાત કરી હતી. હૃદયનાથ મંગેશકરે વડાપ્રધાન દ્વારા મોકલવામાં આવેલા પત્રની કોપી પણ શેર કરી હતી. આ પત્રમાં પુરસ્કાર ગ્રહણ કરતી વખતે મનમાં જે લાગણીઓનું વમળ સર્જાયું હતું તેનો ઉલ્લેખ કરેલો છે. વડાપ્રધાને લખ્યું હતું કે, તે સમયે મને લતાદીદીની સૌથી વધારે યાદ આવી. હું જ્યારે પુરસ્કાર સ્વીકારી રહ્યો હતો ત્યારે મને આભાસ થયો કે, હું આ વખતે એક રાખડીથી ગરીબ થઈ ગયો છું. હવે મને મારા સ્વાસ્થ્ય વિશે, મારા સારા માટે કે વિભિન્ન વિષયો પર ચર્ચા માટેના કોલ નહીં આવે.

આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ લખ્યું હતું કે, શું હું પુરસ્કાર સાથે મળેલી ૧ લાખ રૃપિયાની રોકડ રકમને કોઈ ધર્માર્થ સંસ્થાને દાન કરવા માટે વિનંતી કરી શકું છું? આ રકમનો ઉપયોગ લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન માટે કરી શકાશે જે લતાદીદી હંમેશા ઈચ્છતા હતા.

 

(7:58 pm IST)