Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીત માટેની કેમેસ્ટ્રી દર્શાવી : વિપક્ષને સલાહ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીત માટેની ક્રેડિટ દેશની પ્રજા અને કાર્યકરોને આપી : ચૂંટણીમાં અભૂતપૂર્વ જીત બાદ પ્રથમ વખત પોતાના સંસદીય મત વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા : જાતિવાદી રાજનીતિ રમવા બદલ વિરોધ પક્ષની ટિકા

વારાણસી, તા. ૨૭ : લોકસભાની ચૂંટણીમાં મળેલી પ્રચંડ જીત બાદ આજે પ્રથમ વખત પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યકરો અને ઉપસ્થિત લોકોને સંબોધન કરતા કહ્યું હતું કે, ભાજપની જીત ગણિત અને અન્ય તમામ પ્રકારની ગણતરીથી અલગ પ્રકારની જીત છે. ભાજપની જીત ગણિતથી અલગ પ્રકારની કેમેસ્ટ્રી છે. કાર્યકર્તાઓને આ સંદર્ભમાં મોદીએ જીતની કેમેસ્ટ્રી અંગે વાત કરી હતી. સાથે સાથે વિપક્ષને પણ સલાહ આપી હતી. વિપક્ષી પાર્ટીઓની ઝાટકણી કાઢી હતી. મોદીએ જીત માટેની ક્રેડિટ દેશની જનતા અને કાર્યકરોને આપતા જાતિવાદી રાજનીતિ કરવા માટે વિપક્ષની ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે, આ ચૂંટણી અંકગણિતની નહીં બલ્કે કેમેસ્ટ્રીની હતી. મોદીએ વિપક્ષી દળો ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, દેશની રાજનીતિમાં અમને અસ્પૃશ્ય સમજવામાં આવતા હતા પરંતુ વાસ્તવિકતા એ છે કે, અમારી પાર્ટીની મતહિસ્સેદારી સમગ્ર દેશમાં વધી છે. મોદીએ કહ્યું હતું કે, ચૂંટણી પરિણામ એક ગણિત હોય છે પરંતુ દેશના રાજકીય પંડિતોને માનવું પડશે કે, ગણિતની આગળ પણ એક કેમેસ્ટ્રી હોય છે. દેશમાં સમાજની શક્તિની કેમેસ્ટ્રી, આદર્શો અને સંકલ્પોની કેમેસ્ટ્રી કોઇપણ અંકગણિતને પરાજિત કરી શકે છે. તેમણે કહ્યું હતું કે, રાજકીય પંડિતોને વિચારવું પડશે કે પરસેપ્શન ક્રિએટ કરનાર પ્રયાસોને પણ પારદર્શીતા અને પરિશ્રમથી પરાજિત કરી શકાય છે. અમારા માટે પણ પારદર્શિતા અને પરિશ્રમમાં કોઇ વિકલ્પ નથી. અમને લાગે છે કે, સરકાર અને સંગઠન વચ્ચે તાલમેલ હોય છે અને આની તાકાત હોય છે. ભાજપે સફળતાપૂર્વક આને સાકાર કરીને લોકોને હેરાન કરી દીધા છે. સરકાર નીતિ બનાવે છે. સંગઠન રણનીતિ બનાવે છે. નીતિ અને રણનીતિનો તાલમેલ સરકાર અને સંગઠનના તાલમેલના પ્રતિબિંબ તરીકે હોય છે. મોદીએ ચૂંટણીને યાદ કરતા કહ્યું હતું કે, જે પ્રેમ અને શક્તિ તેમને કાશીમાંથી મળી છે તે અન્યોનો મળી નથી. અહીંના લોકોએ ચૂંટણીને એક ઉજવણી તરીકે બનાવી દઇને અભૂતપૂર્વ સફળતા અપાવી છે. જાહેરરીતે તેઓ તમામ ઉમેદવારોનો આભાર માને છે. મોદીએ ઉમેર્યું હતું કે, પાર્ટી અને કાર્યકરોના આદેશને તેઓ હંમેશા પાળે છે. મોદીએ ઉમેર્યું હતું કે, રાજકીય પંડિતોની વિચારધારા ૨૧મી સદીવાળી રહેલી નથી. મોદીએ કહ્યું હતું કે, અહીં પુત્રીઓ જ્યારે સ્કુટી કાઢે છે ત્યારે સમગ્ર દેશમાં ચર્ચા થાય છે. ૨૦૧૪, ૨૦૧૭ અને ૨૦૧૯ની હેટ્રીકને નાની બાબત તરીકે ગણી શકાય નહીં. અહીંના લોકો ભારતની ભવિષ્યની દિશા નક્કી કરી રહ્યા છે. ઉત્તરપ્રદેશના ૧૪, ૧૭ અને ૨૦૧૯માં યોજાયેલી ચૂંટણી દેશને વ્યવસ્થામાં પરિવર્તન કરવાના સંકેત અપાવે છે. હજુ પણ રાજકીય પંડિતોની આંખ ખુલી રહી નથી. આનો મતલબ એ છે કે, તેમની વિચારધારા ૨૧મી સદીની નથી બલ્કે જુના સમયની છે. મોદીએ ઉમેર્યું હતું કે સરકારે કામ કર્યું છે પરંતુ કાર્યકરોએ વિશ્વાસ જગાવ્યો છે. આ એવો વિશ્વાસ જગાવ્યો છે કે હજુ શરૂઆત થઇ છે જેને મળ્યું છે તે સારી બાબત છે પરંતુ જેને મળ્યું નથી તેને મળશે. જેમને હકો મળ્યા છે અને સુવિધા મળી છે તેમના ઉપર જ તેમનો અધિકાર હતો. કોઇ ઉપકાર કરવામાં આવ્યા નથી. બે શક્તિ છે નીતિ અને રણનીતિ તરીકે આને ગણી શકાય છે.

(7:43 pm IST)