Gujarati News

Gujarati News

News of Sunday, 27th May 2018

પ્લાસ્ટિક-પોલિથિનને છોડી દેવાનું મોદીનું લોકોને સુચન

મન કી બાત કાર્યક્રમમાં વિશેષરીતે ભાર મુક્યો : પ્લાસ્ટિક અને પોલિથિનથી પર્યાવરણ, વન્ય જીવન અને લોકોના આરોગ્ય ઉપર નકારાત્મક અસર થઇ છે : મોદી

નવી દિલ્હી,તા. ૨૭ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ફરી એકવાર લોકો સાથે મન કી બાત કરી હતી. મોદીએ લો ગ્રેડ પ્લાસ્ટિક અને પોલિથિનના ઉપયોગને છોડી દેવા અપીલ કરી હતી અને કહ્યું હતું કે, આના કારણે પર્યાવરણ, વન્ય જીવન અને લોકોના ઓરોગ્ય ઉપર માઠી અસર થઇ રહી છે. વધુ સાહસ અને ઉત્સાહ સાથે પાંચમી જૂનના દિવસે વિશ્વ પર્યાવરણની ઉજવણી કરવા મોદીએ લોકોને અપીલ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, છોડ વાવવા ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાનો હવે સમય આવી ગયો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, માત્ર વૃક્ષો ઉગાડવાની બાબતો જ પુરતી નથી. તેમની જાળવણી પણ ખુબ જરૂરી બની છે. છોડ જ્યાં સુધી વૃક્ષ ન બને ત્યાં સુધી ધ્યાન આપવાની જરૂર છે. મોદીએ ઉમેર્યું હતું કે, પર્યાવરણનું રક્ષણ ખુબ મહત્વપૂર્ણ બની ગયું છે. કુદરત પ્રત્યે સંવેદનશીલ રહેવાનો સમય છે. હાલમાં જ દેશના જુદા જુદા ભાગોમાં આંધી તોફાન અને એકાએક વરસાદના કારણે જાનમાલનું ભારે નુકસાન થયું હતું. હવામાનની બદલાયેલી પદ્ધતિના પરિણામ સ્વરુપે આ નુકસાન થયું હતું. તેમના મન કી બાત રેડિયો કાર્યક્રમમાં મોદીએ અન્ય જુદા જુદા વિષયો ઉપર પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભારત આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસના યજમાન દેશ તરીકે છે જે દેશ માટે એક મોટી સિદ્ધિ સમાન છે. બિટ પ્લાસ્ટિક પોલ્યુશન આ વર્ષની થીમ તરીકે છે જેથી લો ગ્રેડ પ્લાસ્ટિક અને પોલિથિનના ઉપયોગને હવે બંધ કરવામાં આવે તે જરૂરી છે. થીમના મહત્વને સમજવાની જરૂર છે. મોદીએ આ પ્રસંગે જુદા જુદા વિષય પર વાત કરતા કહ્યું હતું કે, પેરિસ એગ્રીમેન્ટમાં ભારતની ભૂમિકા મહત્વની રહી છે. આંતરરાષ્ટ્રીય સોલાર મંચ ઉપર પણ ભૂમિકા વધી ગઈ છે. સંબોધનમાં મોદીએ ૨૧મી જૂનના દિવસે આવનાર ઇન્ટરનેશનલ યોગા દિવસનો ઉલ્લેખ કર્યો હતો. યોગની ટેવ વ્યક્તિને ખુબ જ મજબૂત બનાવે છે. આના કારણે બીજા લોકોને માફી આપી દેવા અને શાંતિની ભાવના જન્મે છે. માનસિક શાંતિ મળે છે. મોદીએ યોગને દરરોજની પ્રક્રિયામાં સામેલ કરવાની પણ વાત કરી હતી.

(8:11 pm IST)