Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

ચીને દેખાડ્યો અસલી ચહેરો! મેડિકલ સપ્લાય પહોંચાડી રહેલી ફલાઇટ અટકાવી

ચીનની મેડિકલ ઇકિવપમેન્ટ કંપનીઓએ તકનો લાભ ઉઠાવી ભાવમાં ધરખમ વધારો કરી દીધો, હવે સપ્લાય પણ સિંગાપુર કે અન્ય દેશોના માર્ગે થાય એવી સંભાવના, જેમાં પૈસા અને સમયનો વ્યય થશે : ચીને પહેલા મદદની રજૂઆત કરી હવે વિમાન કાર્ગો સેવા બંધ કરી દીધી : ચીની સરકારી એરલાઇન્સ કંપનીએ આ માટે આયાતમાં ઘટાડાનું કારણ દર્શાવ્યું : ચીનની મેડિકલકંપનીઓએ ઇકિવપમેન્ટના રેટમાં ૩૫થી ૪૦ ટકાનો વધારો પણ કર્યો

નવી દિલ્હી તા. ૨૭ : વૈશ્વિક કોરોના મહામારી સામે ભારતની લડાઇમાં અનેક દેશો જયાં મદદે આવી રહ્યા છે, ત્યાં ચીને મદદની રજૂઆત કરીને મોં ફેરવી લીધુ છે. ચીનની સરકારે ભારત માટે તેની તમામ કાર્ગો ફલાઇટ્સને આગામી ૧૫ દિવસ માટે અટકાવી દીધી છે. આ વિમાનો દ્વારા ભારતને અત્યંત જરૂરી ઓકિસજન કોન્સટ્રેટર અને અન્ય મેડિકલ ઇકિવપમેન્ટ મોકલવામાં આવી રહ્યા હતા. ચીનની સરકારી વિમાન કંપની સિચુઆન એરલાઇન્સના આ નિર્ણયને લીધે ચીનની ખાનગી કંપનીથી ભારતને મેડિકલ ઇકિવપમેન્ટ મળવામાં સમસ્યા ઉભી થઇ છે.

ભારતમાં હાલમાં કોરોના સંક્રમણની બીજી લહેર ઘાતક સાબિત થઇ રહી છે, જે દરમિયાન ઓકિસજનની ભારે અછત અને અન્ય મેડિકલ ઇકિવપમેન્ટની જરુર પડી રહી છે. જે વિદેશોમાંથી મંગાવવા પડી રહ્યા છે. એવામાં એવી ફરિયાદો પણ સામે આવી રહી છે કે, તકનો લાભ લેતાં ચીનના ઉત્પાદકોએ ઓકિસજન ઇકિવપમેન્ટની કિંમતમાં પણ ૩૫થી ૪૦ ટકાનો વધારો કરી દીધો છે. એની સાથે ભારતને સામાન પહોંચાડવામાં લાગતી ફીમાં પણ ૨૯ ટકાનો વધારો કર્યો છે.

સિચુઆન એરલાઇન્સના હિસ્સારુપે સિચુઆન ચુઆનહાંગ લોજિસ્ટિક કોર્પોરેશન લિમિટેડે એક પત્ર દ્વારા જાહેરાત કરી છે કે એવિએશન કંપની શિયાન-દિલ્હી સહિત છ માર્ગો પર તેની કાર્ગો સેવા આગામી ૧૫ દિવસ માટે અટકાવી રહી છે. આ નિર્ણય બંને દેશોના ખાનગી ઉદ્યોગો દ્વારા ચીનથી ઓકિસજન કન્સટ્રેટર ખરીદવાના ગંભીર પ્રયત્નો વચ્ચે લેવામાં આવ્યા છે.

ભારત માટે કાર્ગો સેવા બંધ કરવા પાછળ ચીને કારણ આપતા કહ્યું કે, વૈશ્વિક કોરોના મહામારીની સ્થિતિમાં આવેલા અચાનક બદલાવથી આયાતમાં ઘટાડો થયો છે, જેથી કાર્ગો સેવા ૧૫ દિવસ સુધી સ્થગિત કરવામાં આવે છે. જોકે કંપનીએ મગરના આંસુ પાડતા એમ પણ કહ્યું હતું કે આ નિર્ણયથી કંપનીને નુકસાન થશે, પરંતુ આ પરિસ્થિતિ માટે માફી માંગીએ છીએ.

હવે સ્થિતિ એવી આવી પડી છે કે, ભારત માટે જરૂરી મેડિકલ ઇકિવપમેન્ટને મોકલવા માટે સિંગાપુર અને અન્ય દેશોના હવાઇ માર્ગનો ઉપયોગ કરવ પડશે, જેમાં સમય અને પૈસા એમ બંનેનો વ્યય થશે.

(12:59 pm IST)