Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

રાહુલ ગાંધીને લઇ જતા વિમાનમાં ભાંગફોડ

'ટીમ રાહુલ ગાંધી' દ્વારા પોલિસ ફરિયાદઃ શંકાસ્પદ - મલ્ટીપલ ખામીઓઃ હવામાં ભારે ઝાટકા લાગ્યાઃ એક બાજુ નમી ગયું: અચાનક ઊંચાઇ ગુમાવીઃ બહાર હવામાન સ્વચ્છ છતાં ભયજનક ધ્રુજારીઃ ૪૦ મિનિટ સુધી ભયાવહ સ્થિતિ સર્જાઇઃ ચીન જઇ રહેલા નરેન્દ્રભાઇએ રાહુલને ફોન કરી ખબર પૂછયા

નવી દિલ્હી તા. ૨૭ : કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર માટે પહોંચેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના વિમાનમાં ગઇકાલે હુબલીમાં લેન્ડીંગ દરમિયાન અચાનક આવેલી ખામીને કોંગ્રેસે ષડયંત્ર ગણાવ્યું છે. કોંગ્રેસને આ મામલે કોઇ શંકાસ્પદ લાગી રહ્યું છે. કોંગ્રેસે આ મામલે હુબલીના પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરવામાં આવી છે.

આ અંગે રાહુલ ગાંધીની ઓફિસ દ્વારા જણાવામાં આવ્યું કે, રાહુલ ગાંધીને લઇ જઇ રહેલું વિમાન દિલ્હીથી હુબલી બે કલાકની ઉડાન દરમિયાન વિમાનમાં અનેક અસ્પષ્ટ ટેકનીકલ ખામીઓ આવી રહી છે. પક્ષે આ અંગે કડક તપાસની માંગ કરી છે.

વિમાનમાં રહેલા લોકોની જિંદગી ખતરામાં નાખવા માટે જાણી જોઇને કરેલી છેડછાડની આશંકા દર્શાવીને આ ફરીયાદમાં કહેવામાં આવ્યું છે કે, વિમાનમાં અત્યંત ઝાટકા લાગી રહ્યા હતા. ત્યારબાદ તે એક બાજુથી નમી ગયું અને તેમાં અવાજ આવવા લાગ્યો. કર્ણાટકના પોલીસ પ્રમુખ નિલમણિ એન રાજુને આ મામલે કરવામાં આવેલી ફરીયાદમાં કહેવામાં આવ્યું છે કે, વિમાનનો ઓટો પાયલોટ સિસ્ટમ પણ કામ કરી રહ્યો નહોતો. આ વિમાનમાં રાહુલ ગાંધીની સાથે અન્ય ત્રણ યાત્રી પર સવાર હતા. આ ઘટના બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને દિલ્હી લઇ આવવા માટે દિલ્હીથી મૈસૂર માટે એક નવું વિમાન મોકલવામાં આવ્યું છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના વિમાનના લેન્ડિંગનો મામલો જોર પકડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.

આ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધી સાથે ફોન પર આ મામલે વાતચીત કરી હોવાનું જાણવા મળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ચીનના પ્રવાસે છે ત્યારે પીએમએ ફલાઇટમાંથી જ રાહુલ ગાંધીને ફોન કરી અને તેમની સાથે વાતચીત કરી હતી.

આ સંબંધમાં રાહુલ ગાંધીની ટીમના સભ્યોએ વિમાન થયેલી ટેકનિકલ ખામીને લઇને કર્ણાટકના ડીજીપીને એક પત્ર લખ્યો છે. રાહુલ ગાંધી સહિત ૪ અન્ય લોકોએ સાથે આ સ્પેશિયલ વિમાનમાં યાત્રા કરી રહેલા કૌશલ વિદ્યાર્થીએ કર્ણાટકના ડીજી અને આઇજીને પત્ર લખ્યો છે.

પત્રમાં 'અનએકસપ્લેનેડ ટેકનિકલ એરર' એવું જણાવામાં આવ્યું છે. અને એમ પણ લખવામાં આવ્યું છે કે વિમાનની લેન્ડિંગ સમેય બધુ બરાબર નહોતું. પોલીસ વિમાનના બંને પાઇલોટની પુછપરછ કરી રહ્યાં છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બે દિવસના કર્ણાટકની મુલાકાતે પહોંચ્યા છે. રાહુલ ગાંધીની ઓફિસ દ્વારા ભલામણ કરવામાં આવી છે કે જયાં સુધી તપાસ ન પુરી થાય ત્યાં સુધી તે વિમાનને ઉડવાની મંજૂરી આપવામાં આવે નહીં.

ધારવાડ ડીસીને આ ઘટના અંગે કહ્યું કે, હું એરપોર્ટ ઓથોરીટી સાથે આ અંગે વાત કરી છે. કોઇ સ્કીડિંગ નથી થઇ અને ન તો કોઇ ઘટનાના સમાચાર છે. તેમણે કહ્યું, ઓટો પાયલોટ સિસ્ટમમાં નાનકડી સમસ્યાના સમાચાર છે, જો કે તેનું ફલાઇટના લેન્ડિંગ અથવા સ્કીડિંગ સાથે કોઇ સંબંધ નથી. પાયલોટને પોલીસ સુરક્ષા અપાઇ અને તેમને હોટલમાં રોકવામાં આવ્યા છે.

(11:35 am IST)