News of Thursday, 26th April 2018
બેઈજિંગ: વડાપ્રધાન મોદી અને જિનપિંગની બેઠકથી બન્ને દેશો વચ્ચે નવા અધ્યાયની શરૂઆત થશે ચીનના વુહાન શહેરમાં 27 અને 28 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે અનૌપચારીક શિખર બેઠક યોજાશે આ બેઠકને લઈને ચીન ઉત્સાહિત જણાઈ રહ્યું છે. ચીનના સરકારી સમાચારપત્ર ગ્લોબલ ટાઈમ્સે પોતાના એક લેખમાં મોદી-જિનપિંગની આ બેઠકને બંને દેશોના સંબંધોના એક નવા અધ્યાયની શરૂઆત જણાવી છે.
આ લેખમાં કહેવામાં આવ્યું છે કે, બંને દેશો વચ્ચે એક બીજા પ્રત્યે અવિશ્વાસની ભાવના છે જે ડોકલામમાં 72 દિવસ સુધી ચાલેલા સૈન્ય ગતિરોધ બાદ વધી છે. આ ઔપચારિક શિખર બેઠકથી બંને દેશોના સંબંધોમાં ચાલી રહેલો તણાવ ઘટવા અને પરસ્પદ વિશ્વાસ ઉભો કરવામાં મદદ મળશે.
ભારત વિરોધી વલણ અખત્યાર કરવા પંકાયેલા ચીનના સરકારી નિંયંત્રણ હેઠળના સમાચાર પત્ર ગ્લોબલ ટાઈમ્સ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગની શિખર બેઠકને લઈને ખુબ જ ઉત્સુક છે. લેખમાં કહેવામાં આવ્યું છે કે, પીએમ મોદી અની રાષ્ટ્રપતિ શી જિનપિંગની અનૌપચારીક શિખર બેઠકનો ઉદ્દેશ્ય માત્ર જૂન મહિનામાં શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના શિખર સમ્મેલનની તૈયારી માત્ર નથી, પરંતુ સમકાલિન આંતરરાષ્ટ્રિય મુદ્દાઓ પર ચર્ચા અને રણનૈતિક સંવાદ છે. ડોકલામ ગતિરોધનો ઉલ્લેખ કરતા લેખમાં જણાવવામાં આવ્યું છે કે, ગત વર્ષે જૂનથી ઓગસ્ટ વચ્ચે 72 દિવસો સુધી ડોકલામમાં બંને દેશો વચ્ચે સૈન્ય ગતિરોધ રહ્યો અને યુદ્ધ જેવી સ્થિતિ ઉભી થઈ હતી. બંને દેશો વચ્ચે પરસ્પર વિશ્વાસની ઉણપના કારણે ડૉકલામમાં ટકરાવની સ્થિતિ સર્જાઈ હતી. જેને લઈને 1962માં ભારત-ચીન યુદ્ધ બાદ બંને દેશોના સંબંધો સૌથી નિમ્ન સ્તર પર પહોંચી ગયાં હતાં.
બંને દેશોમાં પરસ્પર વિશ્વાસની ઉણપ છે અને જેના કારણે બંને એકબીજાને શંકાની નજરે જુએ છે. ભારત ચીનને લઈને ચિંતિત અને શંકામાં રહે છે. ચીન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની સ્થાયી સભ્યતાની ભારતની દાવેદારીનો વિરોધ કર્યો હતો. આ ઉપરાંત ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રુપ (એનએસજી) માટે ભારતના સભ્યપદનો પણ ચીને એ કહેતા વિરોધ કર્યો હતો કે, ભારતે પરમાણું અપ્રસાર સંધિ પર હસ્તાક્ષર નથી કર્યાં. માત્ર ચીને જ નહીં દુનિયાના અન્ય દેશોએ પણ ભારતના સભ્યપદનો વિરોધ કર્યો હતો. પરંતુ ભારત અને ભારતીય મીડિયાએ તેના માટે માત્ર ચીનને જવાબદાર ગણ્યું અને તેને એક દુશ્મન તરીકે રજુ કર્યું.
અહેવાલમાં ભારતને લઈને ચીનની ચિંતાઓનો પણ ઉલ્લેખ કર્યો અને આરોપ લગાવ્યો કે, નવી દિલ્હી તિબેટના અલગાવવાદીઓનું સમર્થન કરી રહ્યું છે. ભારત પર વધુ એક આરોપ લગાવતા કહ્યું છે કે, ભારત અમેરિકા અને જાપાન સાથે મળીને ચીનને ઘેરવા માટે NATO જેવું એક સંગઠન તૈયાર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભારતે ચીનના મહત્વાકાંક્ષી બેલ્ટ એંડ રોડ ઈનિશેટિવનો માત્ર વિરોધ જ નહીં પણ શ્રીલંકા જેવા દક્ષિણ એશિયાઈ દેશોને તેને ફગાવી દેવાની ચેતવણી પણ આપી છે.
ગ્લોબલ ટાઈમ્સમાં કહેવામાં આવ્યું છે કે, પીએમ મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે ઔપચારિક બેઠકથી બંને દેશોના સંબંધો મજબુત બનશે અને પરસ્પર વિશ્વાસની સ્થિતિ નિર્માણ પામશે. સાથો સાથ કહેવામાં આવ્યું છે કે, ભારતે ચીન-પાકિસ્તાન ઈકોમોનિક કોરિડોરને લઈને ચીને ભારતને આશ્વાસન આપવું જોઈએ કે આ પ્રોજેક્ટ એક આર્થિક પરિયોજના છે અને તેનાથી ચીનની નિષ્પક્ષતાને અસર નહીં પહોંચે.