Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

બાંગ્લાદેશમાં મોદીના વિરોધમાં હિંસક અથડામણોઃ ૪ લોકોના મોત

બાંગ્લાદેશના હિફાઝત એ ઈસ્લામ જેવા ઘણા કટ્ટરપંથી સંગઠનો પીએમ મોદીના પ્રવાસનો વિરોધ કરી રહ્યા છેઃ પીએમ મોદીના પ્રવાસનો ઢાકા અને ચટગાંવમાં સૌથી વધુ વિરોધ થઈ રહ્યો છે

ઢાકા, તા.૨૭: બાંગ્લાદેશની સ્વતંત્રતાની ૫૦મી વર્ષગાંઠ પર આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થવા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પ્રવાસનો ઘણા કટ્ટરપંથી સંગઠન વિરોધ કરી રહ્યા છે. આ દરમિયાન પોલીસ સાથે થયેલી હિંસક અથડામણમાં ચાર લોકો માર્યા ગયાના અહેવાલ છે. જણવાઈ રહ્યું છે કે, પીએમ મોદીના પ્રવાસનો વિરોધ ચટગાંવ અને ઢાકામાં વધુ થયો છે. વિરોદ પ્રદર્શનોને જોતા ઢાકાની સુરક્ષાને પણ વધારી દેવાઈ છે. બીસીસી બાંગ્લાના રિપોર્ટમાં એક પોલીસકર્મીને ટાંકીને દાવો કરાયો કે, ચટગાંવમાં સુરક્ષાદળોની સાથે થયેલી હિંસક ઝડપમાં ચાર લોકો ઘાયલ થઈ ગયા. જેમને સારવાર માટે હોસ્પિટલમાં એડમિટ કરાવાયા, પરંતુ એ બધાનું મોત થઈ ગયું. એ લોકો જૂમાની નમાઝ પછી ચટગાંવના થાઝરી મદરેસાથી નીકળી એક વિરોધ મોર્ચામાં સામેલ થયા હતા. આ દરમિયાન ઘણા લોકો ઘાયલ પણ થયા છે.

જણાવાઈ રહ્યું છે કે, જૂમાની નમાઝ પછી રાજધાની ઢાકાના બૈતુલ મુકર્રમ વિસ્તારમાં પણ લોકોએ પ્રદર્શન કર્યું છે. આ દરમિયાન પણ પોલીસની સાથે પ્રદર્શનકારીઓની અથડામણ થઈ પોલીસે સમગ્ર ઢાકામાં લોકોના પ્રદર્શનો પર પ્રતિબંધ મૂકેલો છે. હિફાઝત એ ઈસ્લામ નામના એક કટ્ટરપંથી સંગઠને પહેલા જ પીએમ મોદીના પ્રવાસનો વિરોધ કરવાની જાહેરાત કરી હતી. રિપોર્ટમાં દાવો કરાયો કે, ઉગ્ર ભીડે સ્થાનિક પોલીસ મથકમાં ભારે તોડફોડ કરી તેમણે પથ્થરમારા પછી પોલીસ સ્ટેશનને આગ લગાવવાનો પણ પ્રયાસ કર્યો. તે પછી એકશનમાં આવેલી પોલીસે ઉગ્ર પ્રદર્શનકારીઓને ખદેડવા માટે બળ પ્રયોગ કર્યો. દાવો કરાઈ રહ્યો છે કે, આ દરમિયાન પોલીસે ફાયરિંગ કર્યું, જેમાં ચાર લોકોના મોત થઈ ગયા.

જોકે, પોલીસ તરફથી હજુ સુધી ગોળી ચલાવવાને લઈને કોઈ જાણકારી અપાઈ નથી. સમગ્ર વિસ્તારને તકેદારીના ભાગરૂપે છાવણીમાં ફેરવી દેવાયો છે. પોલીસ ફોર્ની ભારે હાજરીના કારણે સ્થિતિ નિયંત્રણમાં હોવાનું જણાવાઈ રહ્યું છે. દાવો એવો પણ કરાઈ રહ્યો છે કે, આ દરમિયાન ઘણા લોકો ઘાયલ પણ થયા છે. પરંતુ, આ રિપોર્ટસની સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી. હિફાઝત-એ-ઈસ્લામના નેતાએ જણાવ્યું છે કે, પ્રદર્શન દરમિયાન તેમના કેટલાક સમર્થકોના મોત થયા છે, પરંતુ તેમણે પણ સંકયાને સ્પષ્ટ નથી કરી ચટગાંવ અને ઢાકામાં વિરોધ પ્રદર્શનને જોતાં સમગ્ર વિસ્તારમાં પોલીસે એલર્ટ જાહેર કરી દીધું છે.

બાંગ્લાદેશમાં હિફાઝત-એ-ઈસ્લામ જેવા ઘણા ઈસ્લામી કટ્ટરપંથી સંગઠનોએ પીએમ મોદીના પ્રવાસનો વિરોધ જાહેર કરતા પ્રદર્શનની ધમકી આપી હતી. તે પછી બાંગ્લાદેશે સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક કરી દીધી છે. વડાપ્રધાન શેખ હસીનાએ પોતે પીએમ મોદીના પ્રવાસમાં અડચણ ઊભી કરનારાઓ સામે કડક કાર્યવાહીનો આદેશ આપ્યો છે. ભારત અને બાંગ્લાદેશ શરૂઆતથી જ એકબીજાના સૌથી મોટા સહયોગી રહ્યા છે.

બાંગ્લાદેશના સોશિયલ મીડિયા યૂઝર્સ હિફાઝત-એ-ઈસ્લામને સત્તાની ભૂખ્યું અને ધર્મનો વેપાર કરનારી પાર્ટી જણાવી રહ્યા છે. લોકોનો આરોપ છે કે, હિફાઝત-એ-ઈસ્લામ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના ઈશારે પીએમ મોદીના પ્રવાસનો વિરોધ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશની આ કટ્ટરપંથી પાર્ટી છે, જેના સંબંધ પાકિસ્તાન સાથે હોવાનું કહેવાય છે.

(9:57 am IST)