Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

જયોતિષ શાસ્ત્ર પ્રમાણે કોરોના પર ગ્રહો ભારે પડશે

ચૈત્ર મહિનામાં કોરોનાની તાકાત ઘટશે, બે મહિના અસર રહેશે બાદમાં અલોપ થઈ જશેઃ નરેન્દ્ર મોદીજીના નેતૃત્વનો પાવર વધશેઃ ભારતીયોએ આકરા નિર્ણયોનો સામનો કરવા તૈયાર રહેવું પડશે

નવીદિલ્હીઃ ૨૦૨૦ના માર્ચ મહિનાની ૨૫ તારીખથી શરૂ થયેલ સનાતન સંવતનું નામ ''પ્રમાદી સંવત'' છે. પ્રમાદી સંવતનો રાજા બુધ અને મંત્રી ચંદ્ર છે. તેમ છતા નભમંડળના રાજા સૂર્ય છે અને તેમની જવાબદારી સૌથી વધુ છે. આ વર્ષે જળ (વરસાદ), ફળ- ફુલ- પાકનું સ્વામિત્વ સૂર્ય પાસે છે. સૂર્ય સેનાપતિ પણ છે. આ વર્ષે વરસાદ સારો પડશે. ફળ- ફુલથી વૃક્ષો, ડાળીઓ અને છોડવાઓ ખીલેલા રહેશે. પાક સારો થશે. સેનાપતિનો અધિકાર સૂર્ય પાસે હોવાનો પ્રભાવ અને પરિણામ પરિલક્ષીત થવા લાગ્યા છે. દેશનું ઉચ્ચ નેતૃત્વ કઠોર પણ જરૂરી અને સફળ નિર્ણય લેશે. ભારતીય નેતૃત્વ (વડાપ્રધાન નરેન્દ્રભાઈ)એ ૨૧ દિવસ સમગ્ર દેશમાં લોકડાઉનની જાહેરાત તેનું ઉદાહરણ છે. દેશવાસીઓએ પોતાના હિત અને સુરક્ષીત ભવિષ્ય માટે આ વર્ષે હજી કેટલાક અન્ય આકરા નિર્ણયોનો સામનો કરવો પડે તેમ છે.

આ સમયે દેશનું નેતૃત્વ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે. જે વૃશ્ચિક લગ્ન અને વૃશ્ચિક રાશીના જાતક છે. સંવતસરના સેનાપતિ સૂર્ય એવા જાતકોને જનહિત- દેશહિત અને વિશ્વહિતમાં આકરા નિર્ણય લેવાની ક્ષમતા અને શકિત પ્રદાન કરી રહ્યો છે. નરેન્દ્રભાઈના નિર્ણય દૈહિક, દૈવિક અને ભૌતિક શત્રુઓની કમર તોડી નાખશે. દેશના નેતૃત્વની  રણનીતિ- કૂટનિતી અને સમરનિતી સામે પ્રત્યક્ષ અને પરોક્ષ શત્રુ પસ્ત અને પરાસ્ત જ નહી પણ પોતાના પ્રાણ અને અસ્તિત્વને બચાવવા નાક રગડીને માફી માંગતા નજરે પડશે. દેશના ખગોળશાસ્ત્રી પ્રકાશની ગતીથી ઝડપી અને વજ્રની જેમ પ્રહાર કરનાર કોઈ બ્રહ્માસ્ત્ર કે સુદર્શન ચક્ર જેવું આકાશી અસ્ત્ર દેશની સેનાની આપી શકે છે.

કોરોના જેવી આપદાઓ પ્રમાદી સવંતસરના ત્રીજા મહિના બાદ અચાનક ગાયબ થઈ જશે. જો કે આ આપદાઓ પહેલા એક પક્ષ બાદ જ હીન થવા લાગશે. આ વર્ષે દુધ અને મધની નદીઓવાળો મહાવરો પણ ભારતમાં ચરિતાર્થ થવાનો યોગ બની રહ્યો છે. મોંઘવારી અને ભ્રષ્ટ્રાચાર ઉપર અંકુશ લગાવાના અને શાસન- પ્રશાસનમાં સહયોગ તથા સમન્વયના સંકેત મળી રહ્યા છે. જયાં અન્નદાતાને પુરતુ ધન-માન- સમ્માન મળશે તે દેશ શિક્ષક- પ્રશિક્ષક અને છાત્રા વર્ગ અલ્પ પ્રયાસોથી જ અધ્યયન- અધ્યાયન તથા ખોજ- શોધના કાર્યોમાં વિશેષ ઉપલબ્ધીઓ હાંસલ કરી શકે છે. આ વર્ષે કાળનો વાસ વૈશ્યના ઘરમાં છે. એટલે ઉદ્યોગ- વેપાર જગતમાં સુખ- સંતુષ્ટી અને સંપન્નતા રહેશે. નાણાનો અધિકાર સંવતસરના રાજા બુધે પોતાની પાસે રાખ્યો છે એટલે સરકારો ખાસ કરીને ભારત સરકારના રાજસ્વમાં વધારો અને નુકશાનીમાં ઘટાડો થશે. વિદેશી હુંડીયામણમાં વૃધ્ધી અને દેશનું સમ્માન વિશ્વના ટોચના ધન સંપન્ન દેશોમાં થશે.

પ્રમાદી સંવતસરના નીરસેશ અને સસ્યેશ ખુદ દેવગુરૂ બ્રહસ્પતિ છે. એટલે પીળી ધાતુ જેવી કે સોનુ, પીતળ ઉપરાંત હીરા- જવેરાતની માંગ અને મુલ્યમાં વૃધ્ધી થતી જોવા મળશે. પ્રજાની આસ્થા, વિશ્વાસ, ધર્મ- આધ્યાત્મ અને યોગમાં વધશે. દેશમાં પૂજા, જપ, તપ, આધ્યાત્મીકતા અને યોગીક અનુષ્ઠાન અપેક્ષા કરતા વધુ આયોજીત થશે. આ વર્ષનું વર્ષ ફળ જણાવે છે કે આ વર્ષ જીવનદાયી પદાર્થોનું સંચય નહી થાય. પશુઓમાં રોગ વધી શકે છે. પશુપાલકો પોતાના પશુઓની રક્ષા માટે ભગવાન શંકરની પૂજા જરૂર કરે.

સનાતન પંચાગ અનુસાર ચૈત્ર શુકલ પ્રતિપદા સંવતસરનો પહેલો દિવસ છે. આ દિવસે બ્રહ્માજીએ માતા સરસ્વતીજીના કહેવાથી સૃષ્ટીનું નિર્માણ કરેલ. આ દિવસથી કાલગણનાની શરૂઆત થયેલ. સૂર્યના પહેલા કિરણ પણ આજના દિવસે જ પૃથ્વી ઉપર પડેલ. ૯ ગ્રહ, ૨૭ નક્ષત્ર અને ૧૨ રાશીઓનો ઉદય અને ભગવાન વિષ્ણુના મત્સ્ય અવતાર પણ આ જ દિવસે થયેલ. આ વર્ષની ચૈત્રી નવરાત્રી વિશિષ્ટ છે. બારનો નવરાત્રી પૂર્ણ છે. એટલે કે આ વર્ષે માતા દુર્ગાના બધા નવ સ્વરૂપોની પૂજાનો અવસર મળશે. આ વર્ષે કોઈ તિથીનો ક્ષય અથવા તુટ નથી. સૌથી શુભ અને મહત્વપૂર્ણ એ છે કે આ વખતે ચાર સર્વાર્થ સિધ્ધી યોગ, છ રવિ યોગ, એક અમૃતસિધ્ધિ યોગ, એક દિવ્ય પુષ્કર યોગ અને એક ગુરૂ પુષ્ય યોગ બને છે. જે સ્વંયમમાં અતિ દુર્લભ અને શુભ છે.(૩૦.૮)

* ૨૬માર્ચ- આખો દિવસ સર્વાર્થ સિધ્ધિ યોગ

* ૨૭ માર્ચ- સર્વાર્થ સિધ્ધિ યોગ (સવારે ૬:૧૭થી સવારે ૧૦:૦૯) અને રવિ યોગ

* ૨૮ માર્ચ- રવિ યોગ

* ૨૯ માર્ચ- રવિયોગ

*૩૦ માર્ચ- આખો દિવસ સર્વાર્થ સિધ્ધિ યોગ અને સવારે ૬:૧૩થી બીજા દિવસ સવારે ૫:૧૮ સુધી રવિ યોગ

* ૩૧ માર્ચ- દિવ્ય પુષ્કર યોગ (સવારે ૬:૧૨ થી સાંજે ૬:૪૪) અને રવિ યોગ (સવારે ૭:૧૪ થી સાંજે ૬:૪૪)

*૨ એપ્રીલ- આખો દિવસ સર્વાર્થ સિધ્ધિ યોગ, ગુરૂ પુષ્પ યોગ (સાંજે ૭:૨૯ થી સવારે ૬:૦૯)

(11:32 am IST)