Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

શું ૨૧ દિવસથી વધુ થઇ શકે છે લોકડાઉનની મર્યાદા?

સરકાર તૈયારીઓથી લગાવવામાં આવી રહી છે અટકળો

નવી દિલ્હી, તા.૨૭: દુનિયાભરમાં તબાહી મચાવનાર કોરોના વાયરસે ભારતમાં પણ પોતાનો પગપેસારો કરી દીધો છે. ગુરૂવારે બપોર સુધી દેશમાં મહામારી પીડિત લોકોની સંખ્યા ૬૫૦ને પાર થઇ ચુકી છે. આ દરમિયાન મહામારી ભારતમાં સમુદાય વચ્ચે ન ફેલાય એવામાં ભારત સરકારે ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કરી દીધું છે. આ લોકડાઉનના બીજા દિવસે મોદી સરકારે રાહત પેકેજની જાહેરાત કરી, પરંતુ જે પ્રકારે દરેક યોજનાને આગળ ત્રણ મહિના માટે તૈયાર કરવામાં આવી છે તેનાથી એ વાતની સંભાવનાઓ મજબૂત થઇ ગઇ છે કે શું આ લોકડાઉનનું સંકટ ૨૧ દિવસ કરતાં મોટું થવાનું છે. 

લોકડાઉનના લીધે દ્યરમાં કેદ થયેલી જનતા પરેશાન છે અને વિપક્ષ દ્વારા આર્થિક પેકેજની માંગ સતત કરવામાં આવી રહી હતી. આ દરમિયાન ગુરૂવારે નાણામંત્રી નિર્મલા સીતામરણ સામે આવ્યા અને ૧.૭૦ લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી.

નિર્મલા સીતારમણે આ દરમિયાન મહિલાઓના ખાતામાં રકમ, મફત ગેસ સિલિન્ડર, ખેડૂતોને આર્થિક મદદ, કર્મચારીઓને ઇપીએફમાં મદદ જેવી મોટી જાહેરાતો કરી, પરંતુ તેમાં એક જ વસ્તુ કોમન હતી કે આ દરેક વસ્તુઓની તૈયારી ૩ મહિના માટે કરવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જયારે દેશને કોરોના મહામારી મુદ્દે દેશને સંબોધિત કર્યો હતો, ત્યારે તેમણે દેશવાસીઓ પાસે બે-ત્રણ અઠવાડિયા માંગ્યા હતા. ત્યારબાદ પહેલાં એક દિવસનો જનતા કર્ફ્યૂ લગાવ્યો હતો, પરંતુ ૨૪ માર્ચના રોજ ૨૧ દિવસનો મહાકર્ફ્યૂઓ લગાવી દેવામાં આવ્યો છે. એટલે કે ૧૪ એપ્રિલ સુધી લોકોને પોતાના ઘરમાં કેદ રહેવું પડશે. દિવસ વધારીને એપ્રિલ-મે અને જૂન સુધી કરવામાં આવી શકે છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પોતાના સંબોધનમાં દ્યણીવાર તેનો ઉલ્લેખ કર્યો કે વિશેષજ્ઞોએ કોરોના વાયરસની ચેન તોડવા માટે ૨૧ દિવસ સુધી સોશિયલ ડિસ્ટેંસિંગ રાખવાની વાત કરી હતી. જેથી દેશમાં ૨૧ દિવસનું લોકડાઉન લગાવવામાં આવ્યું છે.

પરંતુ જો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા આપવામાં આવેલા નિવેદનો પર ધ્યાન આપીએ તો તેમાં કહેવામાં આવ્યું છે કે જરૂરી નથી કે લોકડાઉનથી જ કોરોના વાયરસનો ખતરો ખતમ થઇ જાય છે, તેના માટે તે દર્દીઓને શોધવા અને સારવાર કરાવવી જરૂરી છે જે તેનાથી પીડિત છે. સાથે જ તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોન્ટાઇનમાં રાખવા પણ જરૂરી છે.

દુનિયાના અન્ય દેશમાં લોકડાઉનની શું અસર?

ભારત પહેલાં કોરોના વાયરસ દુનિયાના ઘણા દેશોમાં પોતાનું ભયાનક રૂપ બતાવી ચૂકયો છે. ચીન, સ્પેન, ઇરાન, ઇટલી અને અમેરિકા હજુ સુધી સૌથી મોટી ભયાવહ બિમારીનો સામનો કરી રહ્યા છે. ભારત પહેલાં આ દેશોએ પણ પોતાના ત્યાં લોકડાઉનની જાહેરાત કરી હતી, જેની થોડી હદે અસર પણ જોવા મળી છે.

જોકે, ઇટલીની વાત કરીએ તો ત્યાં કોરોના વાયરસ ચોથા સ્ટેજ પર છે. ઇટલીએ ૪ માર્ચના રોજ તમામ સ્કૂલ બંધ કરી દીધા હતા, ૯ માર્ચના રોજ દેશમાં લોકડાઉનની જાહેરાત કરી દીધી હતી. પરંતુ હજુ સુધી ત્યાં બે અઠવાડિયાથી વધુ લોકડાઉન થઇ ગયું છે. કોરોનાના ખતરામાં ઘટાડો આવ્યો નથી. ઇટલીમાં દરરોજ ૬૦૦થી વધુ મોત થાય છે.

ઇટલીની માફક અમેરિકાએ પણ પોતાના દેશમાં નેશનલ ઇમરજન્સી લગાવી અને લોકોને ઘરમાં રહેવા માટે કહ્યું. પરંતુ ગત બે અઠવાડિયામાં અમેરિકામાં કોરોના વાયરસે ભયાનક રૂપ ધારણ કરી લીધું અને હવે ત્યાં પોઝિટિવ કેસની સંખ્યા ૬૭ હજારને પાર પહોંચી ચુકી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે પણ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે દુનિયા પર કોરોના વાયરસની અસર ઓગસ્ટ સુધી ફેલાઇ શકે છે.

(10:02 am IST)