Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

લોકસભાની ચૂંટણીમાં ટુર ઓપરેટરોને ધંધામાં તેજીનો માહોલ સર્જાયો

અમદાવાદ :દેશભરની તમામ 543 લોકસભા બેઠકો પર એપ્રિલ અને મે મહિનામાં ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશમાં યોજાવા જઈ રહેલી ચૂંટણીમાં ઉમેદવાર જાહેર થાય ત્યાંથી લઈને પરિણામ આવે ત્યાં સુધીની તમામ પ્રોસેસ બહુ રોમાંચક હોય છે. દેશભરમાં જાણે ઉત્સવ જેવો માહોલ હોય છે. વિવિધ તબક્કાબદ્ધ પ્રક્રિયાના વિશ્વના અન્ય દેશના લોકો સાક્ષી બને તેના માટે વિવિધ ટુર ઓપરેટર્સ દ્વારા ઈલેક્શનલક્ષી પેકેજ ઓફર કરવામાં આવી રહ્યા છે. જેના માટે દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં ટુર્સ ઓપરેટરોને ઈન્ક્વાયરી પણ મળી છે. સાથે ટુર ઓપરેટર્સના ધંધામાં પણ તેજીનો માહોલ સર્જાયો છે.

પીએમ મોદીએ વિદેશીઓને આપ્યું છે આમંત્રણ

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક કાર્યક્રમમાં વિદેશીઓને લક્ષીને સંબોધન કર્યું હતું. તેમણે વિશ્વના દરેક દેશના લોકોને ચૂંટણી દરમિયાન ભારતમાં આવી સમગ્ર પ્રક્રિયા જોવા માટે આમંત્રણ આપવામાં આપ્યું હતું. જેના માટે ઈલેક્શન કમિશનર અને વિદેશ મંત્રાલયને જરૂરી તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી તેવી પણ સૂચના આપી હતી. જેથી વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશમાં યોજાનારી ચૂંટણી વિશે વિદેશીઓ પણ જાણકારી મેળવી શકે અને તેમને પણ ભારતમાં થતી નિષ્પક્ષ ચુંટણી પ્રક્રિયા અંગે માહિતી મળે અને સમગ્ર પ્રક્રિયાના સાક્ષી બની શકે. તેમણે અન્ય દેશોની જુદી જુદી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ખાસ આમંત્રણ આપ્યું છે અને માર્ચ, એપ્રિલ, મે દરમિયાન ચૂંટણીની પ્રોસેસના સાક્ષી બનવા કહ્યું છે.

વિદેશીઓને લોકસભા 2019ની ચુંટણી માટે આવકારવા મુદ્દે અક્ષર ટ્રાવેલ્સના ચેરમેન મનીષ શર્માએ જણાવ્યું હતું કે, તેમના દ્વારા મહેમાનો માટે પ્રકારે સ્પેશિયલ ટુર પેકેજ સૌ પ્રથમ વખત વર્ષ 2012માં ગુજરાત વિધાનસભાની ચુંટણી દરમિયાન લોન્ચ કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2014માં પણ ઈલેક્શનના અનુસંધાનમાં વિવિધ પેકેજ બનાવાયા હતા. જેને બહોળો પ્રતિસાદ મળ્યોઆશરે 5500 જેટલા વિદેશીઓએ પેકેજનો લાભ લીધો હતો. ત્યારે વખતે જ્યારે વડાપ્રધાન જાતે વિદેશીઓને આમંત્રણ આપતા હોય, ત્યારે સ્વાભાવિક રીતે બહોળો પ્રતિસાદ મળે તેવી શક્યતા છે.

તેમણે કહ્યું કે, ચૂંટણીના ભાગરૂપે છેલ્લા 6 મહિનાથી વિવિધ રાજ્યોના જુદા જુદા પેકેજ બનાવીને વિશ્વના અનેક દેશોના મહેમાનોને ઓફર કરવામાં આવી રહ્યા છે. ભારતમાં થનારી નિષ્પક્ષ ઈલેક્શન પ્રક્રિયા જોવા માટે મોટા પ્રમાણમાં ઇન્કવાયરી મળી રહી છે. વર્ષે આશરે 10,000 જેટલા પ્રવાસીઓ લોકસભા 2019ની ચુંટણીના સાક્ષી બને તેવો અંદાજ છે.

PM મોદી, પ્રિયંકા ગાંધીની રેલી માટે સૌથી વધુ ઇન્ક્વાયરી

2019ની લોકસભાની ચૂંટણી પર સમગ્ર વિશ્વની નજર છે. તેમા પણ પીએમ મોદી અને પ્રિયંકા ગાંધીની રેલીઓ માટે સૌથી વધુ ઈન્ક્વાયરી આવી રહી છે તેવું ટુર ઓપરેટર્સનું કહેવું છે. ખાસ કરીને વારાણસી, ગાંધીનગર, દિલ્હી, લખનઉની બેઠક માટે વિદેશીઓમાં વધુ ક્રેઝ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ભારતમાં યોજાનારી લોકસભાની ચુંટણી પહેલાનો માહોલ, રેલીઓની રંગત, સભાઓની ધમાલ અને બાકીની તમામ પ્રક્રિયા વિદેશી મહેમાનો માટે કોઈ ઉન્માદથી ઓછો નથી. ત્યારે પ્રધાનમંત્રી દ્વારા વિદેશોની આપવામાં આવેલું આમંત્રણ સીધી રીતે ટુર ઓપરેટરો માટે વેપાર ધંધામાં તેજીનો માહોલ બનાવી ચૂક્યું છે.

(4:44 pm IST)