Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

હિંસામાં તાહિર હુસૈન દોષિત છે તો ડબલ સજા કરો : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ

એએપીના લીડર તાહિર હુસૈન ફસાતા પ્રતિક્રિયા : રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા પર બાંધછોડ અયોગ્ય : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ

નવી દિલ્હી, તા.૨૭  : ઉત્તરપર્વીય દિલ્હીમાં ભડકેલી હિંસાના સંદર્ભમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આક્રમક વલણ મોડી સાંજે અપનાવ્યું હતું. શરૂઆતમાં તેમના પાર્ટીના લીડરના આવાસ પરથી હથિયારો અને અન્ય ચીજો મળ્યા બાદ ઉદાસીન વલણ રાખ્યા બાદ મોડી સાંજે કેજરીવાલે પણ ગુલાંટ મારી હતી. ચાંદબાગ વિસ્તારથી હિંસાના વિડિયોમાં આમ આદમી પાર્ટીના સભ્ય તાહિર હુસૈન દેખાઈ આવ્યા બાદ કેજરીવાલ સરકાર પર ચારેબાજુથી પ્રહારો શરૂ થઇ ગયા બાદ સવારમાં પાર્ટી બચાવના મૂડમાં રહી હતી પરંતુ સાંજ સુધી મુખ્યમંત્રી કેજરીવાલે પણ વલણ સ્પષ્ટ કર્યું હતું અને કહ્યું હતું કે, જો હિંસામાં તેમની પાર્ટીના કોઇપણ વ્યક્તિ નજરે પડ્યા છે તો તેના પર ડબલ કાર્યવાહી થવી જોઇએ. તાહિરના આવાસ પરથી પેટ્રોલ બોંબ, પથ્થરોનો જથ્થો મળી આવ્યો હતો. મુખ્યમંત્રીએ આજે હિંસાને લઇને પત્રકાર પરિષદ યોજી હતી જેમાં વળતરની જાહેરાત કરવામાં આવી હતી.

          આ ગાળા દરમિયાન તાહિરના સંદર્ભમાં પુછવામાં આવતા કેજરીવાલે કહ્યું હતું કે, જો કોઇ વ્યક્તિ દોષિત જાહેર થાય છે તો તેની સામે કઠોર સજા થવી જોઇએ. જો આમ આદમી પાર્ટીના લીડર દોષિત જાહેર થાય છે તો તેની સામે બે ગણી સજા થવી જોઇએ. રાષ્ટ્રીય સુરક્ષાના મામલામાં કોઇ બાંથછોડ હોવી જોઇએ નહીં. બુધવારે રાત્રે સોશિયલ મિડિયા પર એક વિડિયો વાયરલ થયા હતા જેમાં કથિતરીતે આમ આદમી પાર્ટીના સ્થાનિક કોર્પોરેટર તાહિર હુસૈન પોતાની છત ઉપર તોફાની તત્વોની સાથે હાથમાં લાકડી લઇને દેખાયા હતા.

       છત પરથી લોકો પેટ્રોલ બોંબ અને પથ્થરો ફેંકી રહ્યા હતા. આ વિડિયો સપાટી ઉપર આવ્યા બાદ હોબાળો મચી ગયો છે. રાત્રિ ગાળામાં આ પ્રકારની ઘટના બની હતી. વિડિયોમાં પાછળથી મારામારીનો અવાજ પણ આવી રહ્યો હતો. બીજી બાજુ તાહિર પર આઈબી કર્મચારી અંકિત શર્માની હત્યાનો આક્ષેપ મુકવામાં આવ્યો છે. આ વિડિયો ભાજપના નેતા કપિલ મિશ્રાએ પણ શેયર કરીને આની સામે પ્રશ્નો ઉઠાવ્યા છે. આમ આદમી પાર્ટીની હાલત કફોડી બની ગઈ છે. આમ આદમી પાર્ટી ઉપર જુદા જુદા રાજકીય પક્ષોના નેતાઓ દ્વારા પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. દિલ્હી હિંસાની સ્થિતિને સુધારવા માટે પ્રયાસો થઇ રહ્યા છે. દિલ્હી હિંસા પર ઓઆઈસીના નિવેદન પર વિદેશ મંત્રાલય દ્વારા નિવેદન કરવામાં આવ્યું હતું અને કહ્યું હતું કે, આવા મુદ્દા પર રાજનીતિ થવી જોઇએ નહીં. દિલ્હીમાં સ્થિતિને સુધારવા માટે બનતા તમામ પ્રયાસો થઇ રહ્યા છે.  આગામી દિવસોમાં એએપીની મુશ્કેલી વધે તેવા સંકેત છે.

(7:53 pm IST)