Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

એર ઈન્ડિયા પર હવે ટાટા જૂથનો સત્તાવાર કબજો

દેવામાં ડૂબેલી એર ઈન્ડિયાને તારણહાર મળ્યો : ગુરુવારથી ટાટાએ એરઈન્ડિયાનો વહિવટ સંભાળ્યો, એનહાન્સ્ડ મીલ સર્વિસની પણ તબક્કાવાર શરુઆત થશે

 નવી દિલ્હી, તા.૨૭ : દેવામાં ડૂબેલી એરલાઈન્સ કંપની એર ઈન્ડિયા ૬૯ વર્ષ પછી આજે ટાટા ગ્રૂપ સાથે ફરી એકવાર જોડાઈ જશે. આ માટે લગભગ તમામ કાયદાકીય કાર્યવાહીઓ સમાપ્ત થઈ ગઈ છે. મહારાજાની ચમકને પાછી લાવવા માટે ટાટા ગ્રૂપ હવે ઓનટાઈમ પર્ફોમન્સને મહત્વ આપશે. ગુરુવારથી એર ઈન્ડિયાની ફ્લાઈટ્સમાં એનહાન્સ્ડ મીલ સર્વિસની પણ તબક્કાવાર રીતે શરુઆત થવાની છે. એર ઈન્ડિયાને આજે સત્તાવાર ધોરણે ટાટા ગ્રૂપને સોંપવામાં આવશે. તેમાં ઉચ્ચ સરકારી અધિકારીઓની સાથે સાથે ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરન પણ હાજર રહી શકે છે. એર ઈન્ડિયાની સ્થાપના ટાટા ગ્રુપે જ કરી હતી પરતુ ૬૯ વર્ષ પહેલા સરકારે તેનું રાષ્ટ્રીયકરણ કર્યુ હતું. પાછલા અનેક વર્ષોથી આ કપની નુકસાન સાથે ચાલી રહી હતી અને સરકારે પણ અનેક વાર એર ઈન્ડિયાને વેચવાનો પ્રયત્ન કર્યો હતો. આખરે ગત વર્ષે ટાટા સન્સ તરફથી આ માટે સફળ બોલી લગાવવામા આવી. હવે એર ઈન્ડિયાની ગાડી પાડા પર લાવવા માટે કંપની ઓનટાઈમ પર્ફોમન્સને મહત્વ આપશે. એટલે કે વિમાનના દરવાજા ફ્લાઈટ ટાઈમથી ૧૦ મિનિટ પહેલા બધ થઈ જશે. કેબિન ક્રૂ મેમ્બર્સને મોકલવામાં આવેલા એક ઈમેઈલમાં કંપનીએ જણાવ્યું છે કે, આજ રાતથી આપણે પબ્લિક સેક્ટરથી પ્રાઈવેટ સેક્ટરમાં જઈ રહ્યા છીએ.

આપણા માટે આગામી સાત દિવસ મહત્વના હશે કારણકે આ દરમિયાન આપણે પોતાની ઈમેજ, એટિટ્યુડ અને પર્સેપ્શનને બદલીશું. ટાટા ગ્રુપના સંદીપ વર્મા અને મેઘા સિઘાનિયા ફ્લાઈટ સર્વિસનું સંચાલન સંભાળશે. કેબિન ક્રૂને તેઓ પ્રાથમિકતા આપશે. ફ્લાઈટમાં થતી જાહેરાતમાં પ્રવાસીઓને મહેમાન કહીને સંબોધવામાં આવશે. આટલુ જ નહીં ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાનો એક રેકોર્ડેડ મેસેજ પણ સંભળાવી શકાય છે. એર ઈન્ડિયાના ચાર બોઈંગ ૭૪૭ જમ્બો વિમાન પણ ટાટાને ટ્રાન્સફર કરવામાં આવશે. એર ઈન્ડિયાની માલિકી મળ્યા પછી એરલાઈનને ચલાવવા માટે એક મેનેજમેન્ટની રચના કરવામાં આવશે, જેમાં એરએશિયા ઈન્ડિયા, ટીસીએસ અને ટાટા સ્ટીલના અધિકારી હશે.

(7:45 pm IST)