Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

ખેડૂતોની સાથે વાતચીત માટેના દરવાજા બંધ નથી થયાઃ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર

ગણતંત્ર દિને ટ્રેકટર રેલીમાં હિંસા બાદ મંત્રીનું નિવેદન : દિલ્હી પોલીસે હજુ સુધી ૨૦૦થી વધારે પ્રદર્શનકારીની ધરપકડ કરી લીધી, ૪૦થી વધારે FIR નોંધવામાં આવી

નવી દિલ્હી, તા. ૨૭ : પ્રજાસત્તાક દિવસ પર ટ્રેક્ટર રેલીમાં થયેલી હિંસા બાદ બુધવારના કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરનું નિવેદન સામે આવ્યું છે. ખેડૂત સંગઠનોની સાથે ચાલી રહેલી વાતચીતને લઇને પ્રકાશ જાવડેકર બોલ્યા કે અમે ક્યારેય પણ એવું નથી કહ્યું કે, વાતચીતના દરવાજા બંધ થઈ ગયા છે. કેબિનેટના નિર્ણયની જાણકારી આપી રહેલા પ્રકાશ જાવડેકરને જ્યારે દિલ્હી હિંસા પર પ્રશ્ન થયો અને ખેડૂતો સાથે ચર્ચાની વાત પૂછવામાં આવી તો તેમણે કહ્યું કે, તમે ક્યારેય સાંભળ્યું કે વાતચીતના દરવાજા બંધ થઈ ગયા, જ્યારે પણ કંઈ થશે તમને જણાવીશું. દિલ્હીમાં હિંસાને લઇને પ્રકાશ જાવડેકરે નિવેદન આપ્યું કે, પ્રજાસત્તાક દિવસના અવસર પર જે થયું તેને લઇને દિલ્હી પોલીસ તરફથી જ ઘટનાની જાણકારી આપવામાં આવશે.

          ઉલ્લેખનીય છે કે કૃષિ કાયદાના મુદ્દા પર ખેડૂત સંગઠનો અને ભારત સરકારની વચ્ચે લગભગ ૧૨ વખત વાતચીત થઈ છે. ગત બેઠકમાં કેન્દ્ર સરકાર તરફથી કહેવામાં આવ્યું હતુ કે, સરકારનો પ્રસ્તાવ માની લેવામાં આવે, તેનાથી વધારે કંઈ ના થઈ શકે. ત્યારબાદ બંને તરફથી સખ્ત વલણ અપનાવવામાં આવ્યું. જો કે એ સ્પષ્ટ નથી થયું કે, આગામી બેઠક ક્યારે થશે, ત્યારથી વાતચીતના મુદ્દા પર અસમંજસની સ્થિતિ છે. કેન્દ્ર સરકારે ખેડૂત સંગઠનોની સામે પ્રસ્તાવ રાખ્યો હતો કે તેઓ વર્તમાન કૃષિ કાયદાઓને કેટલાક સમય સુધી ટાળવા તૈયાર છે અને સુપ્રીમ કૉર્ટ દ્વારા બનાવવામાં આવેલી કમિટીના ચુકાદાનો ઇંતઝાર કરી રહી છે. જો કે ખેડૂત સંગઠનોની એક જ માંગ હતી કે ત્રણેય કૃષિ કાયદાઓ પાછા લેવામાં આવે. ખેડૂત સંગઠનોએ જે ટ્રેક્ટર પરેડની જાહેરાત કરી હતી, તેમાં જ ગત દિવસે બબાલ થઈ અને દિલ્હીના અલગ-અલગ વિસ્તારોમાં હિંસા થઈ. આ હિંસામાં ૩૦૦થી વધારે પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે. દિલ્હી પોલીસે અત્યાર સુધી ૨૦૦થી વધારે પ્રદર્શનકારીઓની ધરપકડ કરી છે. ૪૦થી વધારે એફઆઈઆર નોંધવામાં આવી છે.

(7:44 pm IST)