Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

ચૂંટણી પરિણામોનું પોસ્ટમોર્ટમ કરવા ૩૦મીએ બોટાદમાં ચિંતન શિબિર યોજશે પાસ

હાર્દિક સહિતના આગેવાનો હાજર રહેશે : ૨૫૦૦ને અપાયા નિમંત્રણ

નવી દિલ્હી તા. ૨૬ : હાર્દિક પટેલની આગેવાનીવાળા પાટીદાર સંગઠન 'પાટીદાર અનામત આંદોલન સમિતિ' ૩૦ ડિસેમ્બરે બોટાદમાં ચિંતન શિબિર કરશે. તાજેતરમાં થયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામનું એનાલિસિસ કરવા માટે હાર્દિક સહિતના આગેવાનો એકઠા થશે.

આ ઉપરાંત, ચૂંટણીઓમાં ઈવીએમના ઉપયોગ સામે વિરોધ કરવાની રણનીતિ પણ આ ચિંતન શિબિરમાં ઘડવામાં આવશે. આ ચિંતન શિબિર તોફાની બની રહે તેવી શકયતા છે, કારણકે પાસના અનેક આગેવાનો ચૂંટણીના પરિણામોને લઈને હાર્દિકથી નારાજ છે.

બોટાદના પાસ કન્વિનર દિલિપ સાબવાએ જણાવ્યું હતું કે, હાર્દિક સહિતના તમામ પાસના આગેવાનોને આ શિબિર માટે નિમંત્રણ આપવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, લગભગ ૨૫૦૦ જેટલા આગેવાનોને નિમંત્રણ આપવામાં આવ્યું છે.

આટલા પ્રયાસો બાદ પણ ભાજપની આ ચૂંટણીમાં જીત કઈ રીતે થઈ તે અંગે મનોમંથન કરવામાં આવશે. અમારો મુખ્ય એજન્ડા ઈવીએમનો વિરોધ કરવાની નીતિ ઘડવાનો રહેશે. અમે માનીએ છીએ કે, ભાજપ ઈવીએમમાં ચેડાં કરીને ચૂંટણીઓ જીતવાનું ચાલુ રાખશે તેમ દલિપ સાબવાએ કહ્યું હતું.

તેમણે એમ પણ કહ્યું હતું કે, ઈવીએમ સાથે કઈ રીતે ચેડા કરવા શકય છે તે જાણવા માટે તેઓ સ્વીડનથી એકસપર્ટને બોલાવી શકે છે. સાબવાએ કહ્યું હતું કે, કોંગ્રેસ જનાક્રોશને મતમાં તબદિલ કરવામાં કેમ નિષ્ફળ ગઈ તે અંગે પણ મનોમંથન કરવામાં આવશે. આ ઉપરાંત, પાટીદારોના રોષનો ભાજપ કે કોંગ્રેસ રાજકીય ફાયદો ન ઉઠાવી જાય તે પણ ચોક્કસ કરવામાં આવશે.

અમે ભાજપનો સાથ છોડી ચૂકયા છીએ, પરંતુ જો કોંગ્રેસ પણ અમારો રાજકીય ઉપયોગ જ કરશે તો અમે આમ આદમી પાર્ટી કે પછી એનસીપી જેવા ત્રીજા વિકલ્પને પણ અપનાવી શકીએ છીએ તેમ પણ તેમણે કહ્યું હતું. પાસના સૂત્રોના જણાવ્યા અનુસાર, સંગઠનમાં અનેક લોકો કોંગ્રેસ દ્વારા કરાયેલી ટિકિટ ફાળવણીથી નારાજ છે. આ ઉપરાંત, કોંગ્રેસને ખૂલીને ટેકો આપવાના હાર્દિકના નિર્ણય સામે પણ આગેવાનોમાં રોષ પ્રવર્તી રહ્યો છે.

(11:37 am IST)