Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

મોદી-યોગી નીકળ્યા બાદ લોકો જતા-જતા બેનરોના પાઈપોને ઉખાડીને સાથે લઈ ગયા

જેવર એરપોર્ટનો શિલાન્યાસ કાર્યક્રમ પૂરો થતા

લખનૌ,તા.૨૬: જેવર એરપોર્ટનો શિલાન્યાસ કાર્યક્રમ અને પીએમ મોદીની સભા જોવા આવેલા લાખોમાંથી હજારો લોકો શિલાન્યાસ કર્યા બાદ પીએમની સભા છોડીને રવાના થયા હતા. આવા લોકો રસ્તામાં બેનરો અને લોખંડની પાઈપો પોતાની સાથે લઈ ગયા હતા. પોલીસ મૂક પ્રેક્ષક બનીને જોતી રહી હતી.

એરપોર્ટ ફાઉન્ડેશન અને પીએમ મોદીના સભા સ્થળ અને શહેરના તમામ રસ્તાઓ પર લોખંડની પાઇપની મદદથી પીએમ મોદી અને સીએમ યોગીના મોટા બેનરો લગાવવામાં આવ્યા હતા. તમામ રસ્તાઓ તેમનાથી ઉભરાઈ ગયા હતા. શિલાન્યાસ થતાંની સાથે જ ઘણા લોકો સભા છોડીને રસ્તાઓ પર બેનરો લટકાવવા માટે વપરાતી પાઈપોને ઉખાડીને પોતાની સાથે લઈ ગયા હતા. પોલીસની નજર સામે આ બધું થતું રહ્યું અને પોલીસ મૂક પ્રેક્ષક બનીને ઊભી રહી હતી.

કાર્યક્રમને લઈને દરેક જગ્યાએ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. લોકોનો ધસારો હતો. જગ્યા પુરી થઈ ગઈ. કેટલાક વડાપ્રધાન મોદી અને સીએમ યોગી આદિત્યનાથનું ભાષણ સાંભળવા અને જોવા માટે ઝાડ પર ચડી ગયા હતા તો કેટલાક પોલ પર ચઢી ગયા હતા. કેટલાક લોકો મ્યુઝિક સિસ્ટમની ટોચ પર પણ ઉભા હતા. આ દરમિયાન આયોજકો સતત લોકોને નીચે ઉતરવાની અપીલ કરતા જોવા મળ્યા હતા.

(3:31 pm IST)