Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

ભાજપના લોકો દૂધે ધોયેલા નથી, હું તેમની પાછળ હાથ ધોઈને પડી ગયો તો તેમને ભારે તકલીફ થશે : ઉદ્ધવ ઠાકરેનો પલટવાર

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું તેમની ખીચડી કેવી રીતે ચઢાવવી તે મને બરાબર આવડે છે.

મુંબઈ : મહારાષ્ટ્રમાં શિવસેના,કોંગ્રેસ અને એનસીપીની સરકાર બહુ જલ્દી ઉથલી પડશે તેવી આગાહી ભાજપના કેન્દ્ર સરકારના મંત્રીએ તાજેતરમાં કરી હતી. જેના પર હવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ જવાબ આપ્યો છે. મહારાષ્ટ્રમાં સરકારના એક વર્ષ પૂરા થવા નિમિત્તે ઉધ્ધવ ઠાકરેનો શિવસેના પ્રવક્તા સંજય રાઉતે ઈન્ટરવ્યૂ કર્યો હતો

ઉધ્ધવ ઠાકરેએ આ મુદ્દે કહ્યુ હતુ કે, ભાજપના લોકો દૂધે ધોયેલા નથી અને હું તેમની પાછળ હાથ ધોઈને જો પાછળ પડી ગયો તો તેમને બહુ તકલીફ થશે. તેમની ખીચડી કેવી રીતે ચઢાવવી તે મને બરાબર આવડે છે.

   સરકાર પોતાના જ ભાર હેઠળ તુટી પડશે તે અંગેના સવાલમાં ઉધ્ધવ ઠાકરેએ કહ્યુ હતુ કે, આવુ કહેનારાઓના દાંત તુટી જવાના છે પણ આ સરકાર નહી તુટે.ગઠબંધનમાં બધુ સારુ ચાલી રહ્યુ છે અને સરકાર ચાલશે.મારા પરિવારની પાછળ જે લોકો પડ્યા છે તેમને એટલૂ જ કહીશ કે તેમના પણ પરિવાર છે.હું હાથ દોઈને પાછળ પડી ગયો તો ભાજપના લોકોને લેવાના દેવા થઈ જશે

 અત્રે ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રની સરકારને ભાજપના નેતા અને પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડનવીસે અપ્રાકૃતિક ગણાવીને કહ્યુ હતુ કે, જે દિવસે આ સરકાર પડી તે દિવસે મહારાષ્ટ્રને ભાજપ એક મજબૂત સરકાર આપશે.આવી સરકારો લાંબા સમય સુધી ચાલતી નથી.મહારાષ્ટ્રમાં ભાજપ એક મજબૂત વિરોધ પક્ષની ભૂમિકા અદા કરી રહ્યો છે.

(11:24 pm IST)