Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

અલ્લાહ કસમ… ઐસી ભૂલ દોબારા નહિ હોગીઃ ૨૬-૧૧ મુંબઇ આતંકી હૂમલાના હૂમલાખોર અજમલ કસાબે ફાંસી ઉપર લટકતા પહેલા આ શબ્દો કહ્યા હતાં

અમદાવાદ :26-11 મુંબઈ આતંકી હુમલાનો પકડાયેલો એકમાત્ર જીવિત આરોપી અજમલ કસાબને 21 મે, 2012ના રોજ પૂણેની યરવડા જેલમાં ફાંસી આપવામાં આવી હતી. 26 નવેમ્બર, 2008નો એ દિવસ આજે પણ યાદ કરાય છે તો દરેક દેશવાસીના રુંવાડા ઉભા થઈ જાય છે, જ્યારે દેશની આર્થિક રાજધાની મુંબઈ પર દસ આતંકીઓ તૂટી પડ્યા હતા અને ખૂની ખેલ ખેલ્યો હતો. સુરક્ષા કમાન્ડરોએ 9 આતંકીઓને માર્યા હતા, જેમાં માત્ર અજમલ કસાબને જીવતો પકડવામાં સફળતા મળી હતી. હુમલામાં કુલ 166 લોકો માર્યા ગયા હતા અને સેંકડો લોકો ઘાયલ થયા હતા. અજમલ કબાસને જ્યારે ફાંસી આપવામાં આવી રહી હતી ત્યારે ફાંસી પર લટકતા પહેલા કસાબે કહ્યું હતું કે, અલ્લાહ કસમ ઐસી ભૂલ દોબારા નહિ હોગી...

ફાંસીવાળા દિવસે શું થયું હતું...

પોતાના અંતિમ દિવસે એટલે કે 21 મે, 2012ના રોજ લશ્કર-એ-તૌયબાનો આતંકવાદી અજમલ અમીર કસાબને સવારે અંધારામાં ફાંસી આપવાનો નિર્ણય લેવાયો હતો. કસાબને સવારે જલ્દી ઉઠાવાયો હતો. તે દિવસે તેણે ન્હાવા માટે અંદાજે અડધા કલાકનો સમય લીધો હતો. ન્હાઈને તેણે પ્રાર્થના કરી હતી. જેલ પ્રશાસન તરફથી તેને પહેરવા માટે નવા કપડા આપવામાં આવ્યા હતા.

સવારે 5.30 થી લઈને 6 વાગ્યાની વચ્ચે જેલના પોલીસ વડા મીરન બોરબંકર અને યરવડા જેલના અધિક્ષક યોગેશ દેસાઈ સહિત અન્ય પોલીસ તથા જેલ અધિકારીઓ જેલ પહોંચ્યા હતા. કસાબી પ્રાર્થના પૂરી થયા બાદ તેને મેડિકલ તપાસ માટે લઈ જવાયો હતો. જેલ ડોક્ટર્સે તેની તપાસ કરી અને જેલ મેન્યુઅલ અનુસારક તેનું એક ફિટનેસ પ્રમાણપત્ર જાહેર કર્યું.

જલ્લાદને નાગપુર જેલમાંથી લાવવામાં આવ્યો હતો. કેમ કે, પૂણેની જેલમાં એક પણ જલ્લાદ બચ્યો ન હતો. કસાબને ત્યારે એ જગ્યા પર લાવવામાં આવ્યો, જ્યાંથી તેને ફાંસી પર લટકાવાનો હતો. ત્યાં હાજર અધિકારીઓએ બાદમાં મીડિયા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, કસાબના ચહેરા પર કોઈ પશ્ચાતાપ ન હતો, જ્યારે તેને ફાંસી પર લઈ જવાતો હતો.

પોલીસ સૂત્રોએ પણ કહ્યું હતું કે, કસાબને બે સવાલ પૂછવામાં આવ્યો હતો અને બંનેના જવાબ તેણે નકારાત્મક આપ્યા હતા. સૌથી પહેલા કસાબને પૂછવામાં આવ્યું કે, શું તેની કોઈ અંતિમ ઈચ્છા છે. તો તેણે ના કહ્યું હતું. બીજો સવાલ પૂછાયો હતો કે, શું તે તેનો સામાન કોઈને આપવા માંગે છે. તો તેને તેનો જવાબ પણ ના માં આપ્યો હતો.

કસાબના અંતિમ શબ્દો વિશે ત્યા હાજર લોકોએ જણાવ્યું હતું કે, તેણે અલ્લાહ કસમ એસી ગલતી દોબારા નહિ હોગી... એવું કહ્યું હતું. જેના બાદ સવારે 7.30 કલાકે કસાબને ફાંસી આપી દેવામાં આવી હતી. 10 મિનીટ બાદ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. 

(5:05 pm IST)