Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

અયોધ્યા પ્રકરણ : સુન્ની વક્ફ બોર્ડ રિવ્યુ પિટિશન નહીં કરે

સુન્ની વક્ફ બોર્ડની બેઠકમાં પ્રસ્તાવ પાસ કરાયો : દેશની ૧૦૦ દિગ્ગજ મુસ્લિમ હસ્તીઓ રિવ્યુ પિટિશનનો વિરોધ કરી ચુકી છે : પર્સનલ લો બોર્ડ રિવ્યુની તરફેણમમાં

નવીદિલ્હી, તા. ૨૬ : અયોધ્યા મામલામાં સુપ્રીમ કોર્ટના ચુકાદા પર સુન્ની વક્ફ બોર્ડે ફેર વિચારણા અરજી દાખલ નહી ંકરવાનો નિર્ણય કર્યો છે. વક્ફ બોર્ડના આ નિર્ણયથી શાંતિપૂર્ણ માહોલમાં રામ મંદિર નિર્માણ માટેનો રસ્તો ખુલી ગયો છે. સુન્ની વક્ફ બોર્ડના સભ્ય અબ્દુલ રઝાક ખાને કહ્યું છે કે, તેમની બેઠકમાં બહુમતિથી રિવ્યુ પિટિશન દાખલ નહીં કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સંદર્ભમાં એક પ્રસ્તાવ પણ પાસ કરી દેવામાં આવ્યો છે. જો કે, આ બેઠકમાં સુપ્રીમ કોર્ટ તરફથી મસ્જિદ નિર્માણ માટે પાંચ એકર જમીન આપવાના આદેશને લઇને કોઇ ચર્ચા કરવામાં આવી ન હતી. બોર્ડે પહેલા પણ પોતાના તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમં કહ્યું હતું કે, તે આ મામલામાં રિવ્યુ પિટિશન દાખલ કરશે નહીં. આ પહેલા દેશની ૧૦૦ દિગ્ગજ મુસ્લિમ હસ્તીઓએ રિવ્યુ પિટિશન દાખલ કરવાને લઇને વિરોધ કર્યો હતો. રિવ્યુ પિટિશન દાખલ કરવા૩નો વિરોધ કરનાર અસ્થિમા નસરુદ્દીન શાહ, શબાના આઝમી જેવા ફિલ્મ અભિનેતા પણ સામેલ છે.

                    બીજી બાજુ હાલમાં જ મુસ્લિમ પર્સનલ લો બોર્ડે લખનૌમાં પોતાની  બેઠકમાં રિવ્યુ પિટિશન દાખલ કરવાની વાત કરી હતી. નવમી નવેમ્બરના દિવસે ૭૦ વર્ષથી ચાલી રહેલા અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટે ઐતિહાસિ ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે રામ મંદિર મામલામાં આ ઐતિહાસિક ચુકાદો આપીને તમામ પક્ષોને સંતુષ્ટ કરવાના પ્રયાસ કર્યા હતા. તે વખતે સુન્ની વક્ફ બોર્ડે આ નિર્ણયની સામે રિવ્યુ પિટિશનના મામલે નિર્ણય લેવા માટે ૨૬મી નવેમ્બરની તારીખ નક્કી કરી હતી અને આજે રિવ્યુ પિટિશન દાખલ કરવાનો નિર્ણય કર્યો હતો. અત્રે નોંધનીય છે કે, છેલ્લા ૭૦ વર્ષથી ચાલી રહેલી કાયદાકીય લડાઇ, ૪૦ દિવસ સુધી સતત ચાલેલી મેરેથોન સુનાવણી બાદ આખરે ૯મી નવેમ્બરના દિવસે અયોધ્યા મામલામાં સુપ્રીમ કોર્ટે તેનો ઐતિહાસિક ચુકાદો આપી દીધો હતો. સુપ્રિમ કોર્ટે સંપૂર્ણ વિવાદાસ્પદ જમીન રામલલા વિરાજમાનને સોંપવાનો હુકમ કર્યો હતો.

                    સાથે સાથે સુન્ની વક્ફ બોર્ડને અયોધ્યામાં જ કોઈ અન્ય જગ્યા પર પાંચ એકડ જમીન આપવાનો હુકમ કર્યો હતો. આ ચુકાદા પર ભારતભરમાં તમામ લોકોની બાજ નજર રહેલી હતી. રાજકીય રીતે ખુબ જ સંવદેનશીલ ગણાતા રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટની પાંચ જજની બેંચે સર્વસંમંતિથી અથવા તો ૫-૦થી આ ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. નિર્મોહી અખાડાના દાવાને ફગાવી દેવામાં આવ્યો હતો. સાથે સાથે સુપ્રીમ કોર્ટે રામલલા વિરાજમાન અને સુન્ની વક્ફ બોર્ડને જ પક્ષકાર તરીકે ગણ્યા હતા. ટોપની કોર્ટે અલ્હાબાદ હાઇકોર્ટ દ્વારા વિવાદાસ્પદ જમીનને ત્રણ હિસ્સામાં વિભાજિત કરવાના નિર્ણયમાં પણ સુધારો કર્યો હતો. આખરે સુપ્રીમ કોર્ટે રામલલા વિરાજમાનની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.

(7:37 pm IST)