Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

હિન્દુઓની ભાવનાની સાથે રમત ન રમવાની ચેતવણી

ઉદ્ધવ ઠાકરેએ સતત બીજા દિવસે ચેતવણી આપી : રામલલ્લાના દર્શન કર્યા : મોદી સરકાર ખુબ શક્તિશાળી છે ઇચ્છે તો મંદિર બની શકે છે : ઉદ્ધવે કરેલી કબૂલાત

અયોધ્યા, તા. ૨૫ : આગામી વર્ષે યોજાનાર લોકસભાની ચૂંટણી પહેલા શિવસેનાએ ફરી એકવાર કેન્દ્ર સરકારને રામ મંદિરના મુદ્દા ઉપર ઘેરવાના પ્રયાસ કર્યા છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે, રામ મંદિર તો બનશે પરંતુ તેમની સરકાર મંદિર અંગે કોઇ નિર્ણય કરવામાં નહીં આવે તો બનશે નહીં. જો સરકાર આ દિશામાં કોઇ પગલા નહીં લે તો તેમની સરકાર બની શકશે નહીં. શિવસેનાએ મંદિર ઉપર પોતાની પ્રતિબદ્ધતાનો ખુલાસો કરતા કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર કાનૂન બનાવે કે પછી વટહુકમ લાવે. તમામ નિર્ણય વહેલી તકે થવા જોઇએ. અયોધ્યાના બે દિવસીય પ્રવાસના બીજા દિવસે શિવસેનાના વડાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, પાર્ટીઓ ચૂંટણી વેળા રામ રામ કરે છે અને ત્યારબાદ આરામથી બેસી જાય છે. ઉદ્ધવે કહ્યું હતું કે, મંદિર બની ન શકે તો અમને કહેવું જોઇએ કે આ થઇ શકશે નહીં. ચૂંટણીના સમયે મંદિર મુદ્દો ઉઠાવવો જોઇએ નહીં. હવે હિન્દુ લોકો તાકાતવર બની રહ્યા છે. હિન્દુ લોકો માર ખાશે નહીં. જો આ સરકાર મંદિર બનાવશે નહીં તો કઇ સરકાર મંદિર બનાવશે. આ મજબૂત સરકાર છે. જો મામલો કોર્ટ પાસે જ છે તો ચૂંટણી પ્રચારમાં તેનો ઉપયોગ કરવાનો મતલબ નથી. શનિવારના દિવસે પણ ઉદ્ધવ ઠાકરે અયોધ્યામાં રહ્યા હતા. સંતોના આશીર્વાદ લીધા હતા. આજે સવારે રામ લલ્લાના દર્શન બાદ ઉદ્ધવે કહ્યું હતું કે, હિન્દુઓની ભાવના સાથે રમત થવી જોઇએ નહીં. કાયદાકીયરીતે અથવા તો વટહુકમ માર્ગે મંદિર બનવાની જરૂર છે. રામ જન્મભૂમિના દર્શન માટે જતી વેળા એવું લાગ્યું હતું કે, તેઓ જેલમાં જઇ રહ્યા છે. આજની સરકાર ખુબ શક્તિશાળી છે. જો ઇચ્છે તો મંદિર બનાવી શકે છે. ભવિષ્યમાં અયોધ્યામાં મંદિર ચોક્કસપણે બનશે તેવી વાત પણ ઉદ્ધવે કરી હતી. ઉદ્ધવે એમ પણ કહ્યું હતું કે, મોદીએ આ મુદ્દે પણ નોટબંધી જેવો કઠોર નિર્ણય લેવો જોઇએ.

(8:51 am IST)