Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

હવે હાઇવેના નાના ઢાબા પર જમવાની સાથે મળશે પેટ્રોલ પંપ અને શૌચાલયની સુવિધા

ગડકરીએ અધિકારીઓને આપ્યો આદેશ

નવી દિલ્હી, તા.૨૬: નેશનલ હાઇવે નજીક બનેલા ઢાબા પર જલ્દીથી તમને ખાવાની સાથે-સાથે પેટ્રોલ પંપ પણ મળશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આના માટે તેમના મંત્રાલય અને અધિકારીઓને કામ કરવાનું કહ્યું છે.

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સોમવારે કહ્યું કે તેમના મંત્રાલય અને અધિકારીઓને નાના ઢાબાના માલિકોને નેશનલ હાઇવે પર પેટ્રોલ પંપ અને શૌચાલય બનાવવાની મંજૂરી આપવાના પ્રસ્તાવ પર કામ કરવાનું કહ્યું છે.એક કાર્યક્રમમાં નીતિન ગડકરીએ કહ્યું હતું કે અધિકારીઓએ જલ્દી નિર્ણય લેવો પડશે જો નિર્ણય લેવામાં વિલંબ કરશે તો કેટલાય કારણો પરિયોજનામાં વિલંબ કરશે.

નીતિન ગડકરીએ કહ્યું કે મને કોઈએ મેસેજ કરીને કહ્યું હતું કે હું યાત્રા કરી રહ્યો હતો ત્યારે સમગ્ર માર્ગ પર ૨૦૦-૩૦૦ કિલોમીટર સુધી એક પણ શૌચાલય મળ્યું ન હતું.

મંત્રીએ કહ્યું કે લોકો રસ્તાની બાજુની જમીનો પર અતિક્રમણ કરી રહ્યા છે અને ઢાબા ખોલી રહ્યા છે. સવારે મે મારા મંત્રાલય અને અધિકારીઓને કહ્યું કે જે રીતે  NHAI પેટ્રોલ પંપ માટે NOC આપે છે, એ જ રીતે આપણે નેશનલ હાઇવે પર બનેલા નાના ઢાબાના માલિકોને પેટ્રોલ પંપ અને શૌચાલય ખોલવા માટે અનુમતિ દેવા પર વિચાર કરવો જોઈએ.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે તેમના મંત્રાલય દ્વારા જાળવવામાં આવતી પ્રગતિ પર સતત દેખરેખ રાખવાને કારણે, રસ્તાઓના નિર્માણ માટે જમીન સંપાદનની પ્રક્રિયામાં નોંધપાત્ર ઝડપ આવી છે. તેમણે કહ્યું કે તેમણે રસ્તાના નિર્માણ માટે જમીન સંપાદન માટે વળતરની રકમમાં પણ વધારો કર્યો છે.

(2:56 pm IST)