Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજિત પવાર કોરોના સંક્રમિતઃ હોસ્પિટલમાં દાખલ

મુંબઇ, તા.૨૬: મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અને એનસીપીના વરિષ્ઠ નેતા અજિત પવાર કોરોના વાયરસ (કોવિડ-૧૯)ની ચપેટમાં આવી ગયા છે. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ અજિત પવારને સાવચેતી રૂપે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અજિત પવારે કોરોના સંક્રમિત હોવાની માહિતી પોતે ટ્વીટ કરીને આપી હતી. તેમણે ટ્વીટ કર્યું હતું કે, 'મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પણ મારી તબિયત સારી છે. સાવચેતીના ભાગરુપે અને ડોકટરોની સલાહથી મને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.'

બીજા ટ્વીટમાં નાયબ મુખ્યપ્રધાને લખ્યું હતું કે, 'હું રાજયના નાગરિકો, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ સહિત રાજયના તમામ રાજકીય પક્ષોના નેતાઓ, પદાધિકારીઓ, કાર્યકરોને કહેવા માંગુ છું કે ચિંતા કરવાની કોઈ વાત નથી'. તમને જણાવી દઈએ કે, અજિત પવાર ગત અઠવાડિયે પુણે પ્રવાસ પર ગયા હતા. ત્યાંથી પાછા ફર્યા બાદ તેમને તબિયત સારી નહોતી લાગતી એટલે ઘરે રહેવાનું નક્કી કર્યું હતું. બાદમાં તેમને કોરોના ટેસ્ટ કરાવતા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અત્યારે તેઓ હોસ્પિલમાં દાખલ છે.

(3:38 pm IST)