Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

તળાવમાં ટ્રેક્ટર ટ્રોલી પલટી જતાં ૯નાં મોત, ૩૬ ઘાયલ

યુપીની રાજધાની લખનૌમાં મોટો અકસ્માત : સીતાપુરના ટીકૌલી ગામ અટરિયાથી ટ્રેક્ટર ટ્રોલી પર સવાર થઈને ગ્રામજનો ઉનાઈ દેવી મંદિરે જઈ રહ્યા હતા

લખનૌ, તા.૨૬ : રાજધાની લખનૌમાં મોટો અકસ્માત થયો છે. ઈંટૌજાના કુમહરાવન રોડ પર ગદ્દીનપુરવા નજીક તળાવમાં ટ્રેક્ટર ટ્રોલી પલટી ગઈ હતી. આ અકસ્માતમાં ૯ શ્રદ્ધાળુઓના મોત થઈ ગયા હતા જ્યારે ૩૬ લોકો ઘાયલ થયા છે. અકસ્માતની સૂચના મળતા ડીએમ સૂર્યપાલ ગમગવાર ઘટના સ્થળે પહોંચ્યા હતા. રામ સાગર મિશ્ર હોસ્પિટલમાં દાખલ ઘાયલોની ખબર લીધી હતી. બંને બાળકોની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે.

અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક ઉચ્ચ સ્તરીય સારવાર આપવા સૂચના આપવામાં આવી હતી. ડીએમએ એસડીઆરએફની ટીમને બચાવ કામગીરી ઝડપી બનાવવા માટે બોલાવી હતી.

સીતાપુરના ટીકૌલી ગામ અટરિયાથી ટ્રેક્ટર ટ્રોલી પર સવાર થઈને ગ્રામજનો ઈંટૌજા સ્થિત ઉનાઈ દેવી મંદિરે જઈ રહ્યા હતા. સીતાપુર હાઈવે-અને કુમ્હરાવા રોડ પર ગદ્દીનપુરવા નજીક પાછળથી આવી રહેલી ટ્રકે ટક્કર મારી હતી. ટ્રેક્ટર ટ્રોલી પર લગભગ ૪૫ લોકો સવાર હતા. ૩૪ લોકોને સારવાર અર્થે સીએચસી પહોંચાડવામાં આવ્યા હતા. બાકીના લોકોને સામાન્ય ઈજા પહોંચી છે.

(7:17 pm IST)