Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

કોર્ટ કાર્યવાહીના પ્રસારણને લઇ સુપ્રીમ કોર્ટ અંતે સંમત

સુપ્રીમ કોર્ટે વધુ એક મોટો આદેશ આપ્યો : કોર્ટ પ્રક્રિયાના પ્રસારણનો હેતુ પારદર્શકતા લાવવાનો છે

નવીદિલ્હી, તા.૨૬ : સુપ્રીમ કોર્ટે આજે વધુ એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો જેના ભાગરુપે સુપ્રીમ કોર્ટ હવે કોર્ટ કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવા માટે સહમત થઇ ગઇ છે. આ આદેશ અમલી બન્યા બાદ સંસદના બંને ગૃહોની જેમ જ સુપ્રીમ કોર્ટની કાર્યવાહીનું પણ પ્રસારણ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, લોકોના અધિકારોને સંતુલિત કરવાના કાયદા જરૂરી છે. ટૂંક સમયમાં જ આ સંદર્ભમાં માર્ગદર્શિકા તૈયાર કરી લેવાશે. ત્યારબાદ પ્રસારણ કરવામાં આવશે. પ્રસારણ કરવામાં આવ્યા બાદ વાદી-પ્રતિવાદી પક્ષ વચ્ચે કેવાં સવાલ-જવાબ થાય છે, વકીલ કેવાં તર્ક આપે છે. જેવી અનેક કોર્ટના બંધ રૂમમાં થતી હતી તે હવે લોકો ઓનલાઈજ જોઈ શકશે. એક રીતે આ ઓપન કોર્ટ જેવી વ્યવસ્થા હશે. જો કે હજુ તો આદેશ જ થયો છે. આ ચુકાદાના પાલનની વ્યવસ્થા બનવાની છે. કોર્ટની લાઈવ સ્ટ્રીમિંગ પર આવેલાં નિર્ણયની પાછળ કાયદાના વિદ્યાર્થી સ્વપ્નિલ ત્રિપાઠીની ભૂમિકા મહત્વની રહી છે. નેશનલ લો યુનિવર્સિટી સાથે લો ઓનર્સના અંતિમ વર્ષમાં અભિયાસ કરતાં સ્વપ્નિલ ત્રિપાઠીએ આ મુદ્દાને લઈને સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. સ્વપ્નિલ કોર્ટમાં ઇન્ટર્નના ચુકાદા પર લગેલાં બેનને પણ પડકાર આપી ચુક્યાં છે. સ્વપ્નિલની અરજી પર જનહિત અને રાષ્ટ્રીય મહત્વ સાથે જોડાયેલાં મામલાની સુનાવણીની લાઈવ સ્ટ્રીમિંગના આદેશ થયા. સ્વપ્નિલની સાથે વરિષ્ઠ વકીલ ઈન્દિરા જય સિંહે પણ લાઈવ સ્ટ્રીમિંગને લઈને અરજી દાખલ કરી રાખી હતી. આ અરજીઓની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે લાઈવ સ્ટ્રીમિંગ ફેઝમાં લાગુ કરાશે અને તેનાથી ન્યાયિક વ્યવસ્થામાં જવાબદારી વધશે. કોર્ટે કહ્યું કે તેના માટે નિયમ કાયદા નક્કી થશે. જો કે કોર્ટે આરક્ષણ અને અયોધ્યા જેવાં સંવેદનશીલ મામલાની સુનાવણી દરમિયાન લાઈવ સ્ટ્રીમિંગની મંજૂરી નથી આપી. સુપ્રીમ કોર્ટે અગાઉ જીવંત પ્રસારણ માટેની દરખાસ્તને સમયની જરૂરિયાત તરીકે ગણાવી હતી. કેન્દ્ર તરફતી ઉપસ્થિત રહેલા એટર્ની જનરલ કેકે વેણુગોપાલે ૨૪મી ઓગસ્ટના દિવસે કહ્યું હતું કે, જીવંત પ્રસારણ બંધારણીય મહત્વના મામલાઓ ઉપર ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની કોર્ટમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે રજૂ કરી શકાય છે.

 

(8:30 pm IST)