Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

શેરડી ઇન્ડસ્ટ્રી માટે ૫૫૦૦ કરોડ રૂપિયાના પેકેજને લીલીઝંડી મળી

કેબિનેટ બેઠકમાં શેરડી, રેલવે, હોટલ મામલે મહત્વપૂર્ણ નિર્ણયો : પાંચ મિલિયન ટન સુધી શેરડીની નિકાસ કરવા મિલોને મદદ કરવા નિર્ણય પટણામાં ડોમેસ્ટિક ટર્મિનલ અને છત્તીસગઢમાં નવી રેલવે લાઈનને લીલીઝંડી

નવીદિલ્હી, તા. ૨૬ : કેન્દ્રીય કેબિનેેટની આજે મહત્વપૂર્ણ બેઠક થઇ હતી જેમાં શેરડી, રેલવે, હોટલ સહિત અનેક મુદ્દા ઉપર મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા. નાણામંત્રી અરુણ જેટલીએ પત્રકાર પરિષદ દરમિયાન કેન્દ્રીય કેબિનેટના નિર્ણયના સંદર્ભમાં પત્રકારોને માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, દેશમાં વધારાના ખાંડ ઉત્પાદનને ધ્યાનમાં લઇને કેબિનેટે એક વિસ્તૃત પોલિસીને મંજુરી આપી છે. નાણામંત્રીએ કહ્યું હતું કે, ગયા વર્ષે અને આ વર્ષે શેરડીનું ઉત્પાદન ખુબ વધારે થયું છે જેથી આ ખુબ મહત્વપૂર્ણ રહેશે. વિધાનસભાની ચૂંટણી પહેલા આ જાહેરાતોને મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. કેન્દ્રીયમંત્રીએ કહ્યું હતું કે, ખાંડ ઉદ્યોગ માટે ખાસ પેકેજની જાહેરાત કરવામાં આવી છે જે હેઠળ ખાંડ મિલો અને ટ્રાન્સપોર્ટ, હેન્ડલિંગ જેવા ખર્ચ માટે ખાસ રીતે નિકાસમાં મદદ કરવામાં આવશે. આની સાથે સાથે  સુગર ઇન્ડસ્ટ્રીને ૫૫૦૦ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરવામાં આવી છે. પટણામાં ડોમેસ્ટિક ટર્મિનલ બનાવવાને મંજુરી આપવામાં આવી છે. આના ઉપર અંદાજિત ખર્ચ ૧૨૧૬.૯૦ કરોડ રૂપિયા રહેશે. જેટલીએ કહ્યું હતું કે, કેટલીક એવી હોટલો હતી જે બનતા બનતા રોકાઈ ગઈ હતી. પટણામાં પાટલીપુત્ર અશોક હોટલ અને ગુલમર્ગમાં અધુરી રહી ગયેલી હોટલને રાજ્ય સરકારને પરત કરી દેવામાં આવશે. કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં જીએસટી નેટવર્કને ૧૦૦ ટકા સરકારી કંપની બનાવવાના પ્રસ્તાવને પણ મંજુરી આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે, જીએસટી નેટવર્ક યુપીએ સરકારના ગાળામાં બની હતી. તે વખતે ૪૯ ટકા સરકાર અને ૫૧ ટકા નાણાંકીય સંસ્થાઓની હિસ્સેદારી હતી. આ કંપની પ્રાઇવેટ ગણાતી હતી જ્યારે ૪૯ ટકા હિસ્સામાં કેન્દ્ર અને રાજ્યોનો હિસ્સો હતો. હવે તે ૧૦૦ ટકા કંપની બની જશે. છત્તીસગઢમાં કથગોરાથી લઇને દોનગઢ સુધી રેલવે લાઈનની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકાર અને રેલવે વચ્ચે આ સમજૂતિ કરવામાં આવી છે. ૨૯૪ કિલોમીટર લાંબી લાઈન ઉપર ૫૯૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. રાજસ્થાન અને પંજાબ માટે પણ જાહેરાત કરવામાં આવી છે. સરહિંદ ફીડર કેનાલ અને રાજસ્થાન ફીડર કેનાલની રિલાઈનિંગ માટે ૮૨૫ કરોડ રૂપિયાની નાણાંકીય સહાયતાની જાહેરાત કરવામાં આવી છે. કેબિનેટે મેડિકલ કાઉન્સિલ એક્ટમાં સુધારા માટે વટહુકમને મંજુરી આપી દીધી છે. રાષ્ટ્રપતિએ પહેલાથી જ લીલીઝંડી આપી દીધી છે. બીજી બાજુ મંત્રીમંડળે નવી દૂરસંચાર નીતિને પણ મંજુરી આપી છે. દૂરસંચાર ક્ષેત્રમાં ૨૦૨૦ સુધી ૧૦૦ અબજ ડોલરનું નવું રોકાણ થવા અને ૪૦ લાખ નવી રોજગારીની તકો સર્જાશે. કેબિનેટે નવી નેશનલ ડિજિટલ કોમ્યુનિકેશન પોલિસી અને ટેલિકોમ કનેક્શનને ફરી ડિજિટલ કોમ્યુનિકેશન બનાવવાને મંજુરી આપી દીધી છે. જેટલીએ સરકાર યોજનાઓની જાહેરાત કરી હતી. સરકારે ખાંડ ઇન્ડસ્ટ્રી માટે ૪૫ અબજના નાણાંકીય પેકેજને મંજુરી આપી હતી. વૈશ્વિક કિંમતો ઓછી હોવાથી મંત્રાલય દ્વારા પાંચ મિલિયન ટન સુધી ખાંડની નિકાસ કરવા માટે મિલોને સહાય કરવા નિર્ણય કર્યો છે. પરિવહન સબસિડી પણ આપવામાં આવશે. આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી જેમાં જુદા જુદા પાસાઓ ઉપર ચર્ચા થઇ હતી. આર્થિક બાબતોની કેબિનેટ સમિતિની બેઠકમાં ખાદ્યાન્ન મંત્રાલયની દરખાસ્તને લીલીઝંડી આપવામાં આવી હતી જેમાં ખાંડના વધારે પડતા જથ્થાનો યોગ્ય ઉપયોગ કરવાની માંગ કરવામાં આવી હતી. સાથે સાથે ૧૩૦ અબજ રૂપિયામાં જંગી શેરડી એરિયર્સને દૂર કરવા મિલોની મદદ કરવાની વાત કરવામાં આવી હતી.

કેન્દ્રીય કેબિનેટે કયા કયા નિર્ણય કર્યા

જીએસટીએન હવે એક સરકારી કંપની બની જશે  

નવીદિલ્હી, તા. ૨૬ : કેન્દ્રીય કેબિનેેટની આજે મહત્વપૂર્ણ બેઠક થઇ હતી જેમાં શેરડી, રેલવે, હોટલ સહિત અનેક મુદ્દા ઉપર મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા. નાણામંત્રી અરુણ જેટલીએ પત્રકાર પરિષદ દરમિયાન કેન્દ્રીય કેબિનેટના નિર્ણયના સંદર્ભમાં પત્રકારોને માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, દેશમાં વધારાના ખાંડ ઉત્પાદનને ધ્યાનમાં લઇને કેબિનેટે એક વિસ્તૃત પોલિસીને મંજુરી આપી છે. નાણામંત્રીએ કહ્યું હતું કે, ગયા વર્ષે અને આ વર્ષે શેરડીનું ઉત્પાદન ખુબ વધારે થયું છે જેથી આ ખુબ મહત્વપૂર્ણ રહેશે. વિધાનસભાની ચૂંટણી પહેલા આ જાહેરાતોને મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આજે કયા કયા નિર્ણય લેવાયા તે નીચે મુજબ છે.

   ખાંડ મિલોને ટ્રાન્સપોર્ટ, હેન્ડલિંગ જેવા ખર્ચ માટે નિકાસમાં મદદ કરાશે અને ખાંડ ઇન્ડસ્ટ્રીને ૫૫૦૦ કરોડ રૂપિયા પેકેજની જાહેરાત

   પટના એરપોર્ટ પર નવા ડોમેસ્ટિક ટર્મિનલને મંજુરી અપાઈ છે. આના ઉપર ૫૨૧૬.૯૦ કરોડ રૂપિયા ખર્ચ થશે

   જીએસટી નેટવર્કને ૧૦૦ ટકા સરકારી બનાવવાના પ્રસ્તાવને મંજુરી અપાઈ છે. જીએસટીએન યુપીએ સરકારના ગાળામાં બની હતી એ વખતે ૪૯ ટકા સરકાર અને ૫૧ ટકા નાણાંકીય સંસ્થાઓની હિસ્સેદારી હતી. હવે ૧૦૦ ટકા સરકારી કંપની બની જશે

   છત્તીસગઢમાં કથગોરાથી લઇને દોનગઢ સુધી રેલવે લાઈનની ઘોષણા કરવામાં આવી છે. ૨૯૪ કિમી લાંબી લાઈનો ઉપર ૫૯૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે

   સરહિંદ ફીડર કેનાલ અને રાજસ્થાન ફીડર કેનાલની રિલાઈનિંગ માટે ૮૨૫ કરોડ રૂપિયાની નાણાંકીય સહાયતાની જાહેરાત કરાઈ

   કેબિનેટે મેડિકલ કાઉન્સિલ એક્ટમાં સુધારા માટે વટહુકમને પણ મંજુરી આપવામાં આવી છે. વટહુકમ હેઠળ નિષ્ણાતોની એક સમિતિ મેડિકલ કાઉન્સિલને ચલાવશે

   કેબિનેટે નવી દૂર સંચાર નીતિને મંજુરી આપી છે. ૨૦૨૨ સુધી ૧૦૦ અબજ ડોલરનું રોકાણ થશે અને ૪૦ લાખ લોકોને નોકરીની તકો મળશે

(7:42 pm IST)