Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

નિગમબોઘ ઘાટ પર પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીના રાજકિય સન્માન સાથે અંતીમ સંસ્કાર : દીકરા રોહને આપી મુખાગ્નિ : દેશ - વિદેશના નેતા - મહાનુભાવોએ પાઠવી શ્રધાંજલી

જેટલીનું લાંબી બીમારી બાદ શનિવારે સવારે દિલ્હીની એઇમ્સમાં 66 વર્ષની ઉંમરે નિધન થયું હતું

પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલીના અંતિમ સંસ્કાર નિગમબોધ ઘાટ પર કરવામાં આવ્યા છે. અરુણ જેટલીના દીકરા રોહને પિતાને મુખાગ્નિ આપી. અરુણ જેટલીના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. અંતિમ સંસ્કાર સમયે ભાજપના તમામ દિગ્ગજ નેતા નિગમબોધ ઘાટ પર ઉપસ્થિત રહ્યા. અંતિમ સંસ્કાર પહેલા અરુણ જેટલીના પાર્થિવદેહને ભાજપ હેડક્વાર્ટરમાં દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો. અરુણ જેટલીના પાર્થિવદેહને સેનાના ટ્રકમાં રાજકીય સન્માનની સાથે ભાજપ હેડક્વાર્ટર પહોંચાડવામાં આવ્યો હતો. જેટલીનું લાંબી બીમારી બાદ શનિવારે સવારે દિલ્હીની એઇમ્સમાં 66 વર્ષની ઉંમરે નિધન થયું હતું.

નિગમબોધ ઘાટ ખાતે અરુણ જેટલીના અંતિમ સંસ્કાર માટે ઉપરાષ્ટ્રપતિ વેકૈયા નાયડૂ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ સહિતના ભાજપના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા.શ્વાસ લેવાની તકલીફની ફરિયાદ બાદ અરુણ જેટલીને 9 ઓગસ્ટે એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં તેમની તબિયત સતત બગડતી રહી અને તેમને બાદમાં લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવા પડ્યા. જેટલીનું ગુરુવારે ડાયાલિસિસ થયું હતું. નિધન બાદ જેટલીના પાર્થિવદેહને દિલ્હીના કૈલાશ કોલોની સ્થિત તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યું હતું. જ્યાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ સહિત અનેક નેતાઓએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.


દિગ્ગજોએ જેટલીને આપી અંતિમ વિદાય


અનેક રાજકીય પાર્ટીઓના નેતાઓ, ભાજપના કાર્યકર્તાઓ તથા તેમના પ્રશંસકોએ જેટલીને અંતિમ વિદાય આપી. રાજનાથ સિંહ, નિર્મલા સીતારમણ, પીયૂષ ગોયલ, હર્ષવર્ધન, જિતેન્દ્ર સિંહ અને એસ. જયશંકર ઉપરાંત ભાજપના સિનીયર નેતા લાલકૃષ્ણ અડવાણી, પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જે પી નડ્ડા સહિત અનેક નેતાઓએ જેટલીને અંતિમ વિદાય આપી.


અરુણ જેટલીની સફર પર એક નજર

  • 28 ડિસેમ્બર, 1952ના રોજ નવી દિલ્હીમાં જન્મ.
  • 1960-69 સુધી દિલ્હીની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં અભ્યાસ કર્યો. 1973માં નવી દિલ્હીની શ્રી રામ કોલેજ ઓફ કોમર્સમાંથી સ્નાતકની ડીગ્રી મેળવી.
  • 1977માં દિલ્હી યુનિવર્સિટીમાંથી લૉનો અભ્યાસ કર્યો.
  • 70ના દશકામાં ડીયૂ (દિલ્હી યુનિવર્સિટી)માં વિદ્યાર્થી નેતા અને 1974માં ડીયૂના અધ્યક્ષ બન્યા હતા.
  • ઇમરજન્સી દરમિયાન 19 મહિના સુધી જેલમાં પણ રહ્યા. 24મી મે, 1982ના રોજ સંગીતા ડોગરા સાથે લગ્ન કર્યા, એક પુત્ર અને પુત્રીનો જન્મ થયો.
  • 1989માં વીપી સિંહની સરકારમાં દેશના એડિશનલ સોલિસિટર જનરલ બન્યા.
  • વર્ષ 2000થી રાજ્યસભાના સભ્ય અને અનેક મંત્રી પદે રહી ચુક્યા છે. 2014માં નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકારમાં નાણા અને રક્ષા મંત્રી બન્યા.
  • કેન્દ્રીય રક્ષા મંત્રી (2014-17) અને સૂચના તેમજ પ્રસારણ મંત્રી (2014-2016)ની જવાબદારી સંભાળી.
  • ખરાબ સ્વાસ્થ્યને કારણે મોદી સરકારની બીજી ટર્મમાં મંત્રી પદ ન સ્વીકાર્યું. રાફેલ, જીએસટી અને નોટબંધી જેવા સરકારના નિર્ણયો પર બચાવ માટે હંમેશા ફ્રન્ટ ફૂટ પર રહ્યા.
(12:00 am IST)