Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

પાકિસ્તાન દ્વારા છાશવારે સીઝફાયરનું ઉલ્લંઘનઃ ગોળીબારીના ખતરાથી ઝઝુમી રહેલા લોકોની સુરક્ષા માટે ૨૦૦૦ જેટલા બંકર બનાવાશે

નવી દિલ્હીઃ પાકિસ્તાન દ્વારા વારંવાર સીઝફાયરનું ઉલ્લંઘન કરીને ગોળીબાર કરવામાં આવતા નિર્દોષ લોકો મોતના મુખમાં ધકેલાઇ જાય છે ત્યારે નિર્દોષ લોકોને બચાવવા માટે ગોળીબારના ખતરાથી ઝઝુમતા લોકોની સુરક્ષા માટે ૨૦૦૦ જેટલા બંકર બનાવવાનો નિર્ણય સરકારે કર્યો  છે.

પાકિસ્તા દ્વારા છાશવારે સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવતાં સરહદે રહેતા નિર્દોષ લોકોને જાનમાલનું નુકસાન ભોગવવું પડે છે. ઘણીવાર માસુમ બાળકોએ પણ જીવ ગુમાવવાનો વારો આવે છે. આ જોતાં ભારત સરકારે આ દિશામાં મહત્વનો નિર્ણય લીધો છે. આંતરિક સુત્રોના જણાવ્યા અનુસારા જમ્મુ કાશ્મીરમાં પૂંછ જિલ્લામાં આવેલ નિયંત્રણ રેખા (એલઓસી) અને આંતરરાષ્ટ્રીય સરહદે પાકિસ્તાની ગોળીબારીના ખતરાથી ઝઝુમી રહેલા લોકોની સુરક્ષા માટે 2000 જેટલા બંકર બનાવાશે. 

પાકિસ્તાનની નાપાક હરકતોથી સ્થાનિક લોકોને સુરક્ષિત રાખવા માટે બંકર બનાવવા માટે સરકાર સત્વરે નિર્ણય જાહેર કરી શકે છે અને આ માટે કામગીરીને મંજૂરી પણ આપશે. રમઝાન મહિનામાં પાકિસ્તાને સીઝફાયરનો ભંગ કરતાં અનેક વખત ફાયરિંગ કર્યું છે. જે જોતાં પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સીમાએ 1320 વ્યક્તિગત અને 680 સામુદાયિક બંકર બનાવવાનો પ્રસ્તાવ રખાશે. આ જાણકારી સમાચાર એજન્સી એએનઆઇ દ્વારા અપાઇ છે. 

ભારતીય સરહદે અત્યાર સુધી થયેલ સીઝફાયરના સરેરાશ આંકડા કરતાં પણ ચાલુ વર્ષના આ આંકડા હેરત પમાડે એવા છે. ચાલુ વર્ષે થયેલ સીઝફાયર છેલ્લા ચાર વર્ષના કુલ આંકડા કરતાં પણ વધુ છે. ભારતીય સરહદે આવેલા ગામડાં અને અહીં ફરજ બજાવતા ભારતીય જવાનોને નિશાન બનાવી પાક રેન્જર્સ દ્વારા સતત ફાયરિંગ કરવામાં આવ્યું છે. 

છેલ્લા ચાર વર્ષમાં કુલ 1308 વખત ગોળીબારીની ઘટનાઓ બની છે. જેમાં સૌથી વધુ 2015માં પાક રેન્જર્સ દ્વારા 350 વખત ગોળીબારી કરવામાં આવી હતી. રોકેટ લોન્ચર જેવા ઘાતક હથિયારો દ્વારા પણ હુમલો કરાયો છે. જ્યારે ચાલુ વર્ષે માત્ર પાંચ મહિનામાં 516 વખત ફાયરિંગ થયું છે. જ્યારે વર્ષ 2014માં 127 વખત, 2016માં 204 અને 2017માં 111 વખત સીઝફાયર થયું છે. 

(6:03 pm IST)