Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

કેજરીવાલ નીતિ આયોગની બેઠકનો પણ બહિષ્કાર કરશે

દિલ્હીના મુખ્યમંત્રી અને કેન્દ્ર વચ્ચેની ખેંચતાણ વધી ઃ કેજરીવાલે પીએમને પત્રમાં લખ્યું છે કે, જો વડાપ્રધાન સુપ્રીમનું પાલન નહીં કરે તો લોકો ન્યાય માટે ક્યાં જશે?

નવી દિલ્હી, તા.૨૬ ઃ દિલ્હીના મુખ્મંત્રી અરવિંદ કેજરીવાલ અને કેન્દ્ર સરકાર વચ્ચેની ખેંચતાણ દિવસેને દિવસે વધી રહી છે. નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાની જાહેરાત કરનાર સીએમ કેજરીવાલ હવે નીતિ આયોગની બેઠકનો પણ બહિષ્કાર કરશે. આ માટે કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. સીએમ કેજરીવાલે પીએમ મોદીને લખેલા પત્રમાં લખ્યું છે કે, 'લોકો પૂછે છે કે જો વડાપ્રધાન સુપ્રીમ કોર્ટનું પાલન નહીં કરે તો લોકો ન્યાય માટે ક્યાં જશે? જ્યારે સહકારી સંઘવાદ એક મજાક છે ત્યારે નીતિ આયોગની બેઠકમાં હાજરી આપવાનો શું અર્થ છે. સીએમ કેજરીવાલે પોતાના બે પાનાના પત્રમાં લખ્યું છે કે, આવતીકાલે નીતિ આયોગની બેઠક છે. નીતિ આયોગનો ઉદ્દેશ્ય ભારતના વિઝનને તૈયાર કરવાનો અને સહકારી સંઘવાદને પ્રોત્સાહન આપવાનો છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં જે રીતે લોકશાહીની મજાક બનાવવામાં આવે છે, બિન-ભાજપ સરકારોને તોડી નાખવામાં આવી રહી છે અથવા કામ કરવા દેવામાં આવી રહ્યું નથી, આ ન તો આપણા ભારતનું વિઝન છે કે ન તો સહકારી સંઘવાદ.'

(8:10 pm IST)