Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

કોંગ્રેસ કરે તો વાંધો નહીં, મોદી ઉદ્‌ઘાટન કરે તો બહિષ્‍કાર !

કેન્‍દ્રીય ગળહમંત્રી અમિતભાઈ શાહે નવા સંસદ ભવન બાબતે વિરોધ પક્ષની આકરી આલોચના કરી

 નવી દિલ્‍હીઃ કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે વડાપ્રધાન દ્વારા નવા સંસદ ભવનનાં ઉદ્‌ઘાટનનો વિરોધ કરી રહેલા વિપક્ષો પર આકરા પ્રહારો કર્યા છે. અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી સંસદભવનના ઉદ્‌ઘાટનનો બહિષ્‍કાર કરીને નીચલા સ્‍તરની રાજનીતિ કરી રહી છે. શ્રી શાહે કહ્યું કે સમગ્ર જનતાના આશીર્વાદ મોદી સાથે છે. છત્તીસગઢનો ઉલ્લેખ કરીને તેમણે આ મામલે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીને પણ લપેટયા હતા.

અમિતભાઈ શાહે કહ્યું કે પીએમ મોદી આઝાદીના અમૃત મહોત્‍સવના વર્ષમાં દેશની સંસદની નવી ઇમારતનું ઉદ્‌ઘાટન કરવાના છે, પરંતુ કોંગ્રેસ પાર્ટી અને તેના સહયોગી પક્ષો રાજકારણ કરીને તેનો બહિષ્‍કાર કરી રહ્યા છે અને એવું બહાનું બનાવી રહ્યા છે કે રાષ્‍ટ્રપતિએ ઉદ્ધાટન કરવું જોઈએ. તેમણે કોંગ્રેસ પર નીચલા સ્‍તરની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્‍યો હતો.

સોનિયા અને રાહુલે છત્તીસગઢમાં વિધાનસભાનું ઉદ્ધાટન કર્યું. ત્‍યાં રાજ્‍યપાલ આદિવાસી હતા. તેમને કેમ ન બોલાવાયા? ઝારખંડ, મણિપુર, આસામ અને તમિલનાડુમાં પણ આવું જ થયું હતું. કોંગ્રેસને આડેહાથ લેતા તેમણે કહ્યું કે, તમે જે કરો છો તે બધું સારૂં છે, પરંતુ જો મોદી કરે તો તેનો બહિષ્‍કાર કરો છે. કેન્‍દ્રીય ગળહમંત્રીએ કહ્યું, દેશની જનતાએ મોદીને બે વખત પીએમ બનાવ્‍યા. દેશની જનતા કોંગ્રેસની ઈચ્‍છા પર નથી. મોદીને સંસદમાં બોલવા દેવાતા નથી. હું કોંગ્રેસને કહેવા માંગુ છું. સમગ્ર જનતાના આશીર્વાદ મોદી માટે છે. આ વખતે મોદીને ૩૦૦થી વધુ સીટો મળશે. લોકો કોંગ્રેસને જોઈ રહ્યા છે, ગત વખતે વિપક્ષનો દરજ્જો પણ મળ્‍યો ન હતો, આ વખતે એટલી પણ બેઠક નહીં મળે.

કોંગ્રેસ, TMC, AAP, JDU, RJD, DMK, NCP, સમાજવાદી પાર્ટી સહિત ૨૧ પક્ષોએ નવા સંસદ ભવનનાં ઉદ્‌ઘાટન સમારોહનો બહિષ્‍કાર કરવાનો નિર્ણય લીધો છે. આ પક્ષોએ સંસદ ભવનનું ઉદ્‌ઘાટન રાષ્‍ટ્રપતિ દ્વારા કરાવવાની માંગ કરી છે. જો કે નવી સંસદ પર વિપક્ષનું અભિયાન નબળું પડતું દેખાય છે. વડાપ્રધાન દ્વારા નવી સંસદના ઉદ્‌ઘાટનનો વિરોધ કરનારા પક્ષો કરતાં વધુ પક્ષો સમર્થનમાં આવ્‍યા છે

(4:16 pm IST)