Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

ભારતમાં કોરોનાના કેસ વધતા ચીન પોતાના નાગરિકોને પરત બોલાવશે

ચીનમાં ક્વોરન્ટિનમાં રહેવાનો ખર્ચો નાગરિકોએ ઉઠાવવો પડશે

 

નવી દિલ્હી :ભારતમાં ફસાયેલા પોતાના વિદ્યાર્થીઓ, મુસાફરો અને વ્યવસાયીઓ સહિત અન્ય નાગરિકોને પરત બોલાવવાનો ચીને નિર્ણય કર્યો છે.

 ચીનની એમ્બેસીએ પોતાની વેબસાઈટ પર નોટિસ લગાવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો ઘરે પરત ફરવા માંગે છે તેઓ વિશેષ ફ્લાઈટ્સમાં ટીકીટ બુક કરાવે. ભારતમાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યાં છે ત્યારે ચીને નિર્ણય કર્યો છે.

કોરોના વાઈરસની શરૂઆત ડિસેમ્બરમાં ચીનના વુહાન શહેરથી થઈ હતી. દુનિયાભરમાં વાઈરસથી 54 લાખથી વધારે લોકો સંક્રમિત થયાં છે અને 3.4 લાખથી વધારે લોકોના મોત થયાં છે. ભારતે ફેબ્રુઆરીમાં વુહાનમાંથી લગભગ 700 ભારતીયોને પરત લાવ્યા હતા.

ચીનની એમ્બસીની નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, ઘરે પરત ફરવા ઈચ્છતા લોકોને ફ્લાઈટ દરમિયાન અને ચીનમાં પ્રવેશ બાદ ક્વોરન્ટીન અને મહામારીને રોકવાના તમામ નિયમોનું પાલન કરવું પડશે.

નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, છેલ્લા 14 દિવસોમાં કોરોના વાઈરસનો ઈલાજ કરાવનારા કે તાવ અને ઉધરસ જેવા સંક્રમણના લક્ષણ ધરાવનારાઓને ખાસ ફ્લાઈટમાં મુસાફરી કરવી જોઈએ નહી. તેમાં કહેવામાં આવ્યું છે કે, મુસાફરી માટે ટિકિટ અને ચીનમાં ક્વોરન્ટિનમાં રહેવાનો ખર્ચો નાગરિકોએ ઉઠાવવો પડશે.

(12:18 am IST)