Gujarati News

Gujarati News

News of Sunday, 26th May 2019

ભારત અને પાકિસ્તાન બંનેના ક્ષેત્રોની સમૃદ્ધિ અને શાંતિ માટે વાતચીત કરીને મુદ્દાઓનો ઉકેલ લાવવો જોઈએ: મહેમૂદ કુરેશી

ઈસ્લામાબાદ: પાકિસ્તાનના વિદેશ મંત્રી મહેમૂદ કુરેશીએ કહ્યું કે તેમનો દેશ ભારતની નવી સરકાર સાથે તમામ પેન્ડિંગ મુદ્દાઓ પર વાતચીત માટે તૈયાર છે. સરકારી રેડિયો પાકિસ્તાનના અહેવાલ મુજબ કુરેશીએ શનિવારે રાતે મુલ્તાનમાં એક ઈફ્તારી પાર્ટીને સંબોધિત કરતા કહ્યું કે ભારત અને પાકિસ્તાન બંનેના ક્ષેત્રોની સમૃદ્ધિ અને શાંતિ માટે વાતચીત કરીને મુદ્દાઓનો ઉકેલ લાવવો જોઈએ.

બે દિવસ અગાઉ એટલે કે 23મી મેના રોજ લોકસભા ચૂંટણી 2019ના પરિણામો જાહેર થયા અને ભાજપે પોતાના દમ પર જ બહુમત મેળવી લીધો છે. નરેન્દ્ર મોદી બીજીવાર વડાપ્રધાન પદના શપથ લેવા જઈ રહ્યાં છે.

પાકિસ્તાનના મુખ્યમંત્રી ઈમરાન ખાને ગુરુવારે મોદીને જીત પર અભિનંદન પાઠવ્યાં હતાં અને ક્ષેત્રની શાંતિ તથા સમૃદ્ધિ માટે મળીને કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ખાને અંગ્રેજી અને ઉર્દુમાં ટ્વિટ કરીને કહ્યું હતું કે "હું ભાજપ અને સહયોગી પક્ષોની જીત પર વડાપ્રધાન મોદીને શુભેચ્છા પાઠવું છું. દક્ષિણ એશિયામાં શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે તેમની સાથે મળીને કામ કરવાને લઈને આશાવાદી છું."

ખાને એપ્રિલમાં કહ્યું હતું કે તેમને વિશ્વાસ છે કે જો લોકસભા ચૂંટણીમાં મોદી જીતશે તો ભારત સાથે શાંતિ વાર્તા કરવા તથા કાશ્મીર મુદ્દાના સમાધાન માટે સારી તક મળી શકે છે. ભારતમાં લોકસભા ચૂંટણીના પરિણામો પાકિસ્તાન માટે પણ ખુબ મહત્વપૂર્ણ છે કારણ કે નવી સરકાર ભારત-પાકિસ્તાનના સંબંધોના ભવિષ્યની દિશા પર વિચાર કરશે. પુલવામા આતંકી હુમલા બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ વધી ગયો હતો.

(3:54 pm IST)